સારદા ચિટ ફંડ કૌભાંડની તપાસ CBI કરશે : સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, 9 મે : હવે પશ્ચિમ બંગાળના બહુચર્ચિત સારદા ચિટ ફંડ કૌભાંડની તપાસ સીબીઆઈ કરશે. સુપ્રીમ કોર્ટે શુક્રવારે સીબીઆઈને આ કેસની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. આ સાથે જ કોર્ટે ઓડિશા ચિટ ફંડ કૌભાંડની તપાસ પણ સીબીઆઈને સોંપી છે.
આજે સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળ, ઓડિશા અને આસામમાં થયેલા કોરોડોના કૌભાંડની તપાસ સીબીઆઈને કરવા આદેશ આપ્યા છે. કોર્ટે સીબીઆઈને કથિત રીતે ચિટફંડ કૌભાંડમાં સામેલ પશ્ચિમ બંગાળની સારદા કંપની અને ઓડિશાની 44 અન્ય કંપનીઓ વિરુદ્ધ તપાસ કરવાના આદેશ આપ્યા છે. આ સાથે જ પશ્ચિમ બંગાળ, ઓડિસા અને અસમની પોલીસને પણ સીબીઆઈની સાથે સહયોગ કરવા અને જરૂરી માહિતી આપવાનો આદેશ કર્યો છે.
સારદા ચિપફંટ કંપનીના પ્રમુખ સદીપ્ત સેન આ કેસમાં મુખ્ય આરોપી છે. તેમની સાથે કંપનીના અન્ય અધિકારીઓ સાથે કાશ્મીરમાંથી ધરપકડ કરાઈ હતી. સારદા કંપનીએ પશ્ચિમ બંગાળમાં ગરીબ અને મધ્યમ વર્ગીય હજારો રોકાણકારો સાથે છેતરપિંડી કર્યાનો આરોપ છે.
અંદાજે 30 હજાર કરોડ રૂપિયાનું આ કૌભાંડ 2013માં સામે આવ્યું હતું. આરોપ છે કે સારદા જૂથની કંપનીઓએ ખોટી રીતે રોકાણકારો પાસેથી પડાવ્યા, અને પાછા નથી આપ્યા. કૌભાંડના ઘટસ્ફોટ બાદ એજન્ટો પાસેથી રોકાણકારોએ પૈસા પાછા માંગ્યા ત્યારે કેટલાક એજન્ટોએ આપઘાત કર્યાના કિસ્સા પણ બન્યા. આ કૌભાંડને લઈને પશ્ચિમ બંગાળ સરકાર પર અનેક સવાલો થયા છે.
સારદા જૂથે 10 લાખથી વધુ રોકાણકારો સાથે છેતરપીંડિનો આરોપ છે, આ કૌભાંડમાં અંદાજે 3000 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયાનો અંદાજ છે. એપ્રિલમાં બાલાસોર અને ઓડિશામાં પણ અનેક જૂથો પર આરોપ છે કે તેમણે મોટા ફાયદાનો વાયદો કરી તેમની પાસેથી નાણા લીધા હતા.