ગોવામાં મનોહર પર્રિકરે જીત્યો વિશ્વાસ મત, 22 મત મેળવ્યાં
ગોવામાં ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે સદનમાં બહુમત સાબિત કરી દીધો છે. મનોહર પર્રિકરના નેતૃત્વવાળી સરકારને 22 મત મળ્યાં છે.
ગોવા માં આજે મુખ્યમંત્રી મનોહર પર્રિકર ના નેતૃત્વવાળી ભાજપ સરકાર માટે પરીક્ષાનો દિવસ હતો. સરકારે આજે વિધાનસભામાં બહુમત સાબિત કરવાનો હતો, આ માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું.
મનોહર પર્રિકરે આ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી 22 મત મેળવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, 14 માર્ચના રોજ મનોહર પર્રિકર તથા 7 અન્ય ધારાસભ્યોએ મંત્રી પદની શપથ લીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આજે 16 માર્ચના રોજ તેમણે ફ્લોર ટેસ્ટમાં બહુમત સાબિત કરવાનો હતો. આ ફ્લોર ટેસ્ટમાં પર્રિકર સફળ થયાં છે.
અહીં વાંચો - ગોવાઃ ચોથીવાર CM બનનાર મનોહર પર્રિકરની રાજકારણીય સફર
વિધાનસભામાં પર્રિકરના વિરોધમાં 16 મત આવ્યા, 1 ધારાસભ્ય ગેરહાજર રહ્યાં તથા પર્રિકરના સમર્થનમાં 22 મત આવ્યાં. વિશ્વાસ મત જીત્યા બાદ મનોહર પર્રિકરે કહ્યું કે, ભારતની જનતા સામે અમ પહેલેથી જ સાબિત કરી દીધું હતું કે અમારી પાસે 23 ધારાસભ્યોનું સમર્થન છે, હવે અમે વિધાનસભામાં પણ આ વાત સાબિત કરી દીધી છે.
દિગ્વિજય સિંહ પર પર્રિકરના પ્રહારો
પર્રિકરે કહ્યું કે, દિગ્વિજય સિંહને દાવો હતો કે, તેમની પાસે સંખ્યા બળ છે, પરંતુ તેમની પાસે શરૂઆતથી જ સંખ્યા બળ નહોતું. દિગ્વિજયના દાવાને પ્રચાર ગણાવતાં તેમણે કહ્યું કે, મહાસચિવના પદેથી દિગ્વિજય રાજીનામું આપે તેવી શક્યતા છે. ડિપ્ટી સીએમની જરૂર છે કે કેમ એ અંગેના સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, આ ગઠબંધનની સરકાર છે અને આ અંગેનો નિર્ણય પણ ગઠબંધન જ લેશે. તેમણે આગળ કહ્યું કે, સૌ કોઇ પોતાની જાતે આવ્યા અને જાતે મત આપ્યો. કોઇનો હોટલમાં ખાસ રોકાણ આપવામાં નથી આવ્યું.
ગોવા વિધાનસભામાં કોંગ્રેસ હતી સૌથી મોટી પાર્ટી
ઉલ્લેખનીય છે કે, 40 વિધાનસભા બેઠકોવાળી ગોવા વિધાનસભામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી હતી, કોંગ્રેસે 17 બેઠકો કબજે કરી હતી, જ્યારે બાજપ પાસે 13 બેઠકો હતી. કોંગ્રેસને આશા હતી કે, રાજ્યપાલ તરફથી તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં આવશે, પરંતુ રાજ્યપાલ તરફથી આ તક ભાજપને આપવામાં આવી. કોંગ્રેસે રાજ્પાલના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ સુપ્રીમ કોર્ટે કોંગ્રેસનિી અરજી નકારતાં તેમને 14 માર્ચે શપથ ગ્રહણ કર્યા બાદ તુરંત 16 માર્ચના રોજ બહુમત સાબિત કરવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાજ્યપાલ દ્વારા મનોહર પર્રિકરને બહુમત સાબિત કરવા માટે શપથ ગ્રહણ બાદ 15 દિવસનો સમય આપવામાં આવ્યો હતો.