રાષ્ટ્રપતિ ચૂંટણીઃ RJD બાદ કોંગ્રેસે સાધ્યું નીતીશ પર નિશાન
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં નીતીશ કુમારે રામ નાથ કોવિંદનું સમર્થન કરવાનો નિર્ણય કરતાં તેમના સહયોગીઓ જ તેમની પર નિશાન સાધી રહ્યાં છે.
રાષ્ટ્રપતિ ચૂંટણીમાં રામ નાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરનાર નીતીશ કુમાર પર તેમના સહયોગીઓએ વાણી પ્રહારો શરૂ કર્યા છે. પહેલા આરજેડી તરફથી નીતીશ કુમાર પર નિશાન સાધવામાં આવી રહ્યું હતું અને હવે કોંગ્રેસે પણ નીતીશ કુમારને ઘેર્યા છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે બિહારના મુખ્યમંત્રી પર હુમલો કરતાં કહ્યું કે, નીતીશ કુમાર પહેલા એવા વ્યક્તિ હતા, જેમણે બિહારની દલિત પુત્રીને હરાવવાનો નિર્ણય કર્યો હતો.
નીતીશના નિર્ણય પર ઉઠ્યા સવાલો
બિહારની મહાગઠબંધન સરકારમાં બધુ સલામત હોય એમ લાગતું નથી. જ્યારથી બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના અધ્યક્ષ નીતીશ કુમારે એનડીએ ઉમેદવાર રામ નાથ કોવિંદને સમર્થન આપવાની જાહેરાત કરી છે, ત્યારથી તેમના સહયોગીઓ જ તેમની પર પ્રશ્નો કરી રહ્યાં છે. નીતીશ કુમાર પર પ્રશ્ન કરતાં આરજેડી સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે કહ્યું હતું કે, 'તેઓ ઐતિહાસિક ભૂલ કરી રહ્યાં છે, નીતીશ કુમારનો નિર્ણય ખોટો છે.' કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે તેમની પર નિશાન સાધતાં કહ્યું કે, 'જે લોકો એક સિદ્ધાંત પર વિશ્વાસ કરે છે, તેઓ માત્ર એક જ નિર્ણય લે છે. પરંતુ જે લોકો અનેક સિદ્ધાંતોમાં માને છે, તેઓ અનેક પ્રકારના નિર્ણયો લે છે.'
ગુલામ નબી આઝાદે આગળ કહ્યું કે, 'નીતીશ પહેલા એવા વ્યક્તિ હતા, જેમણે બિહારની દલિત પુત્રીને હરાવવાનો નિર્ણય કર્યો હતો, અમે એવું નથી કર્યું.' નોંધનીય છે કે, વિપક્ષ તરફથી પૂર્વ લોકસભા અધ્યક્ષ મીરા કુમારને રાષ્ટ્રપતિના ઉમેદવાર પસંદ કરવામાં આવ્યા છે. વિપક્ષના આ નિર્ણય અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, 'વિપક્ષે બિહારની પુત્રીને હારવા માટે મેદાનમાં શા માટે ઉતારી?' સાથે જ તેમણે કહ્યું હતું કે, 'રાજનૈતિક નિર્ણયો આમ જ નથી બદલાતા'.