નરેન્દ્ર મોદીની 'ખૂની પંજા'ની ટિપ્પણી સામે કોંગ્રેસની ચૂંટણીપંચમાં ફરિયાદ
નવી દિલ્હી, 10 નવેમ્બર : ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીને વારંવાર શહેજાદાના ઉદબોધન કરવા અંગે વિફરેલી કોંગ્રેસ હવે મોદી કરેલા તેના ચૂંટણી ચિહ્નને 'ખૂની પંજો' કહેતા વધારે નારાજ છે. આ મુદ્દે તેણે ચૂંટણી પંચનો સંપર્ક સાધીને ફરિયાદ કરી છે.
નરેન્દ્ર મોદીએ છત્તીસગઢના ડોંગરગઢમાં એક ચૂંટણી પ્રચાર સભાને સંબોધતા કોંગ્રેસના ચૂંટણી ચિહ્નને 'ખૂની પંજો' અને જાલિમ ગણાવ્યો હતો. કોંગ્રેસે આ પ્રકારની ટિપ્પણીની દુર્ભાગ્યપૂર્ણ અને અપમાનજનક ગણાવી હતી. કોંગ્રેસ ચૂંટણી પંચના શરણે પહોંચી ગઇ છે. કોંગ્રેસ દ્વારા આ મુદ્દે મુખ્ય ચૂંટણી અધિકારી વી એસ ચંપત સમક્ષ નરેન્દ્ર મોદી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે.
આ અંગે કોંગ્રેસનું કહેવું છે કે આવા નિવેદનો કે ટિપ્પણીને કારણ ચૂંટણી પંચની પ્રતિષ્ઠાને પણ ઠેસ પહોંચે છે. કારણ કે ચૂંટણી પંચ દ્વારા મંજૂર કરવામાં આવેલા ચૂંટણી ચિહ્ન પર જ આવી ટિપ્પણી કરવામાં આવી છે. નરેન્દ્ર મોદી સામે કાર્યવાહી કરવા માટે ચૂંટણી પંચને મોદીના ભાષણની સીડી અને સ્થાનિક સમાચાર પત્રોમાં પ્રકાશિત સમાચાર અહેવાલોના કટિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભાજપ પણ કોંગ્રેસના રાજકુમાર રાહુલ ગાંધીએ મુઝફ્ફરનગરના રમખાણ પીડિતો અંગે કરેલી ટિપ્પણી મુદ્દે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી. હવે કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે નરેન્દ્ર મોદીની ટિપ્પણી સીધી રીતે આદર્શ આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.