'યોગી દ્વારા હિંદુત્વની રાજનીતિ રમી રહ્યું છે ભાજપ'
કોંગ્રેસે કહ્યું કે, યોગીને પસંદ કરી ભાજપે સાબિત કરી દીધું કે, તેઓ હિંદુત્વનું રાજકારણ કરી રહ્યાં છે.
ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી તરીકે યોગી આદિત્યનાથ ના નામની જાહેરાત થતાં જ વિરોધીઓએ ભાજપ પર પ્રહારો કરવા માંડ્યા છે. એક સાથે તમામ વિપક્ષી દળોએ ભાજપના કાર્ય અને વલણ પર અનેક સવાલો કર્યાં છે. કોંગ્રેસ તથા તૃણમુલ કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દે ભાજપ તથા નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યાં છે.
કોંગ્રેસના તીખા પ્રહારો
સૌથી તીખો પ્રહાર કોંગ્રેસે કર્યો છે, પ્રવક્તા સંજય ઝાએ કહ્યું કે, 'આ નિર્ણય સ્પષ્ટ સંદેશ આપે છે કે ભાજપ ધ્રુવીકરણનું રાજકારણ કરી રહ્યું છે, ભાજપના હેતુઓ સ્પષ્ટ થઇ ગયા છે.'
હિંદુવાદી નેતા યોગી આદિત્યનાથ
'પીએમ મોદીએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે તેમની શું ઇચ્છા છે, એક કટ્ટર સાંપ્રદાયિક, હિંદુવાદી નેતા યોગી આદિત્યનાથને સીએમ બનાવી ભાજપ સ્પષ્ટ રીતે ધ્રુવીકરણનું રાજકરણ કરી રહ્યું છે. જેનો સ્પષ્ટ પ્રભાવ એ આવશે કે, માત્ર ઉત્તર પ્રદેશમાં જ નહીં, આખા દેશમાં કટ્ટર હિંદુવાદી વિચારધારા મજબૂત થશે. અમે કોઇ ઉપર આરોપ નથી લગાડતાં, પરંતુ સ્થિતિ સ્પષ્ટ કરે છે કે કોના દળમાં શું થઇ રહ્યું છે?'
કટ્ટરપંથીના હાથમાં પ્રદેશની કમાન
કોંગ્રેસે સાફ કહ્યું કે, 'આ મુદ્દાને આ રીતે સમજવાની જરૂર છે. ભાજપે ઉત્તર પ્રદેશમાં એક પણ મુસ્લિમ ઉમેદવારને ટિકિટ ન આપી અને બહુમત મળતાં જ એક કટ્ટરપંથીને મુખ્યમંત્રીનું પદ સોંપી દીધું.'
તૃણમુલ કોંગ્રેસ
કોંગ્રેસની માફક જ તૃણમુલ કોંગ્રેસે પણ ભાજપ પર આ મુદ્દે નિશાન સાધ્યું છે. તૃણમુલ કોંગ્રેસે કહ્યું કે, ભાજપ ઉત્તર પ્રદેશમાં કટ્ટર હિંદુત્વનું રાજકારણ કરવા માંગે છે. આ માટે જ તેમણે મુખ્યમંત્રીના પદ માટે યોગી આદિત્યનાથ પર પસંદગી ઉતારી છે.
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી(મકપા)એ કહ્યું કે, યોગીની પસંદગી થકી આરએસએસનો એજન્ડા સ્પષ્ટ થાય છે, કારણ કે તેઓ ઉત્તર પ્રદેશને હિંદુત્વ પરિયોજનાનું કેન્દ્ર બનાવવા માંગે છે.
ધિક્કાર ફેલાવનારની કરી પસંદગી
માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીએ આગળ કહ્યું કે, ભાજપે એક એવા વ્યક્તિની પસંદગી કરી છે, જેણે ધિક્કાર ફેલવાનારા ભાષણો અને સાંપ્રદાયિક હિંસાના રસ્તે ચાલી રાજકારણમાં પ્રવેશ કર્યો છે.
અહીં વાંચો