J&K: પથ્થરમારામાં 60 જવાનો ઘાયલ, આજે રેલ સેવા બંધ
મંગળવારે જમ્મુ-કાશ્મીરના બડગામમાં અથડામણ દરમિયાન થયું વિરોધ પ્રદર્શન, સુરક્ષાકર્મીઓ પર પથ્થરમારો.
જમ્મુ-કાશ્મીર ના બડગામ ખાતે મંગળવારે આંતકીઓ ને પકડવા માટે સુરક્ષા દળો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, આતંકીઓને આ વાતની જાણ થતાં તેમણે સુરક્ષા દળો પર ગોળીબાર કર્યો હતો. આ દરમિયાન સેના અને સુરક્ષા દળો પર સતત પથ્થરમારો થઇ રહ્યો હતો, જેમાં 60 પોલીસકર્મી તથા જવાનો ઘાયલ થયા હતા. આ કારણે કાશ્મીર ઘાટીમાં બુધવારે રેલ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સેના પર પથ્થરમારો
સેન્ટ્રલ કાશ્મીરના બડગામમાં થયેલી અથડામણમાં સીઆરપીએફના 40 જવાનો તથા 20 પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા છે. સીઆરપીએફના ડીઆઇજી સંજય કુમાર નેદી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. સુરક્ષા દળો પર સતત પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મંગળવારે વહેલી સવારે સુરક્ષા દળો દ્વારા છાદૂરાના દુરબુઘ વિસ્તારની ઘેરાબંધી કરી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં આતંકીઓ છુપાયેલા હોવાની જાણકારી મળી હતી. ઘેરાબંધીના જાણ આતંકવાદીઓને થતાં તેમણે ગોળીબાર કર્યો હતો અને સર્ચ ઓપરેશન અથડામણમાં ફેરવાયું હતું.
પ્રદર્શનકર્તાઓમાંથી 1નું મૃત્યુ
સુરક્ષા દળો ગોળીબારનો સામનો કરી રહ્યાં હતા, તે સમયે ભારે સંખ્યામાં પ્રદર્શનકારીઓ ત્યાં ભેગા થઇ ગયા અને તેમણે સેના પર પથ્થરમારો શરૂ કર્યો. આ દરમિયાન સુરક્ષા દળો દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં એક વ્યક્તિને ગરદનમાં ગોળી વાગી હતી. તે વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે શ્રીનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. પ્રદર્શનકારીઓને ખસેડવા માટે સુરક્ષા દળોએ પેલેટ ગન તથા ટિયર ગેસના ઉપયોગની જરૂર પડી હતી.
સ્થાનિક લોકોને સીઆરપીએફની અપીલ
સીઆરપીએફના ડીઆઇએજી સંજય કુમારે આ અથડામણ અંગે વાત કરતાં જણાવ્યું કે, આ અથડામણમાં સ્થાનિક લોકોને કારણે વધુ મુશ્કેલી આવી. સુરક્ષા દળોએ એક સમયે બે મોરચાનો સામનો કરવાનો વારો આવ્યો, એક તરફ આતંકીઓ અને બીજી બાજુ સ્થાનિક લોકો. સ્થાનિક લોકોએ ખૂબ મોટું તોફાન માંડ્યું હતું, તેઓ સતત પથ્થરમારો કરી રહ્યાં હતા. તેમને કારણે 40 જવાન અને 20 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા. તેમણે કાશ્મીર ઘાટીના રહેવાસીઓને આતંકીઓ વિરુદ્ધના ઓપરેશનમાં બાધા ન નાંખવાની અપીલ કરી છે.
પહેલા પણ જોવા મળ્યો હતો આ નજારો
આ પહેલા દ.કાશ્મીરના ત્રાલમાં પણ આવો જ નજારો જોવા મળ્યો હતો. 9 માર્ચના રોજ અહીં એક એન્કાઉન્ટર 15 કલાક બાદ પૂરું થયું હતું. આ એન્કાઉન્ટરમાં હિજબુલ મુઝાહિદ્દીનનો આતંકી આકિબ મૌલવી ઠાર મરાયો હતો. સુરક્ષા દળોને એ વિસ્તારમાં આતંકીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી, પરંતુ તેમણે આ એન્કાઉન્ટર વચ્ચેથી રોકવું પડ્યું હતું, કારણ કે સ્થાનિક લોકો સતત પથ્થરમારો કરી રહ્યાં હતા. આકિબની અંતિમ યાત્રા સમયે ત્રાલ સંપૂર્ણપણ બંધ કરવામાં આવ્યું હતું. કાશ્મીરની આઝાદીના નારા લગાવાઇ રહ્યાં હતા અને ભારે સંખ્યામાં લોકો રસ્તા પર જોવા મળ્યા હતા.
અહીં વાંચો