કાનપુર રેલ દુર્ઘટના, મૃતકોની સંખ્યા 133 પર પહોંચી, 200 થી વધુ ઘાયલ
ઉત્તરપ્રદેશમાં કાનપુર પાસે પુખરૈયામાં થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 133 સુધી પહોંચી ગઇ છે...
યુપીના કાનપુરમાં પુખરૈયામાં રવિવારે થયેલ ટ્રેન દુર્ઘટનામાં મૃતકોની સંખ્યા 133 થઇ ચૂકી છે. આ વાતની પુષ્ટિ કાનપુર રેંજના આઇજી જકી અહમદે કરી છે. આ દુર્ઘટનામાં 200 થી પણ વધુ લોકો ઘાયલ જણાવવામાં આવી રહ્યા છે.
મૃતકો ક્ષત-વિક્ષત
રવિવારે સવારે થયેલ દુર્ઘટનામાં પટના-ઇન્દોર એક્સપ્રેસના 14 ડબ્બા અચાનક પાટા પરથી ખડી પડતા ખતરનાક ટ્રેન દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટના એટલી ગંભીર હતી કે તેમાં માર્યા ગયેલા મોટાભાગના મૃતદેહ એવી અવસ્થામાં છે કે જેની ઓળખ પણ થઇ શકે તેમ નથી.
ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક
બચાવકાર્યમાં લાગેલ એનડીઆરએફના પ્રવકતા કૃષ્ણ કુમારે જણાવ્યુ કે માર્યા ગયેલા લોકો ક્ષત-વિક્ષત થઇ ગયા છે જેમની ઓળખ કરવી શક્ય નથી. જે સમયે દુર્ઘટના ઘટી તે સમયે લોકો ઉંઘતા હતા જેના કારણે લોકોને બચવાનો મોકો જ ન મળ્યો. દુર્ઘટના સમયે ટ્રેનની સ્પીડ 100 કિમી પ્રતિ કલાક જણાવવામાં આવી રહી છે.
મૃતકોને મળશે 12.5 લાખની સહાય
અત્યાર સુધીમાં મૃતકોના પરિવારને 12.5 લાખ રુપિયા વળતર આપવાની ઘોષણા કરવામાં આવી છે. આમાં 3.5 લાખ રુપિયા રેલવે, 5 લાખ રુપિયા ઉત્તરપ્રદેશ સરકાર, 2 લાખ રુપિયા મધ્યપ્રદેશ સરકાર અને 2 લાખ રુપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાંથી આપવામાં આવશે.
પીએમ રાહતકોષમાંથી પણ સહાય
આ ઉપરાંત દુર્ઘટનામાં રેલવે તરફથી ગંભીર રીતે ઘાયલ લોકોને 50-50 હજાર રુપિયાનુ વળતર અને સામાન્ય ઇજાગ્રસ્તોને 25-25 હજાર રુપિયાનંા વળતર આપવામાં આવશે. વળી ગંભીર રીતે ઘાયલ લોકોને પીએમ રાહતકોષમાંથી પણ 50-50 હજાર રુપિયાની સહાય આપવામાં આવશે.
ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
ઘટના બાદ સવારથી સતત રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. વળી આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે અને કહેવામાં આવ્યુ છે કે જે પણ દોષિત હશે તેને બક્ષવામાં નહિ આવે.