શું 2022 સુધીમાં ખેડૂતોની કમાણી બમણી કરી શકશે મોદી સરકાર?
મોદી સરકારની કૃષિ વિકાસની નીતઓ દ્વારા શું 2022 સુધીમાં ભારતના ખેડૂતોની કમાણી બમણી થશે? સરકારે ખેડૂતોની કમાણી વધારવા માટે કરેલ પહેલ અને વિવિધ યોજનાઓનો તાગ મેળવો અહીં..
ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘોષણા કરી હતી કે સરકાર વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. મોદી સરકારની આ મહત્વકાંક્ષા પૂરી થવી થોડી કઠણ છે, આ માટે સરકારે અનેક રણનીતિ બનાવવાની જરૂર છે.
આ લેખમાં આપણે કૃષિ વિકાસ માટે મોદી સરકાર દ્વારા કરેવામાં આવેલી વિવિધ પહેલો અને યોજનાઓ અંગે ચર્ચા કરીશું. ખાસ કરીને પ્રધાનમંત્રી ફસલ વીમાયોજના, પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના અને સોઇલ હેલ્થ કાર્ડ સ્કિમ અને નેશનલ એગ્રિકલ્ચર માર્કેટની ઉપયોગિતા અને પ્રગતિ અંગે માહિતી મેળવીશું.
એનડીએ સરકારના શાસનમાં પ્રથમ બે વર્ષ સતત દુકાળ પડ્યો, જેની પ્રતિકૂળ અસર કૃષિ આવક અને ગ્રામીણ અર્થતંત્ર પર જોવા મળી. વર્ષ 2015ની શરૂઆતમાં વાવાઝોડાને કારણે ખેડૂતોની મુસીબતો વધી, લણણી માટે તૈયાર થયેલો પાક નાશ પામ્યો.
ભારતમાં કૃષિ ક્ષેત્ર મોટેભાગે ચોમાસાની ઋતુ પર નભે છે, આ કારણે આ નાનકડી કુદરતી આપત્તિના પણ મોટા પરિણામો કૃષિ ક્ષેત્રને ભોગવવા પડ્યા. ખેડૂતોના જોખમને ઓછું કરવા માટે તથા તેમને નિયમિત ધોરણે આવકની સુરક્ષા પુરી પાડવા માટે જ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના(પીએમએફબીવ્હાય) બહાર પાડવામાં આવી હતી.
PMFBYની પ્રગતિ
વર્ષ 2016-17 પાકની દ્રષ્ટિએ કૃષિ ક્ષેત્ર માટે ખૂબ સારું વર્ષ સાબિત થઇ રહ્યું છે, જે ખરીફ 2016 પહેલા શરૂ થયું હતું. આ યોજનાની અસરકારકતાના મૂલ્યાંકન માટેના મુખ્ય બેરોમીટરમાંનું એક છે પાક વીમા કવરેજ. નોંધનીય છે કે, PMFBY આવ્યા બાદ કુલ પાક ક્ષેત્રનો વીમો 23%થી વધીને 30% થયો છે.
એક વર્ષના સમયગાળા માટે નોંધપાત્ર પ્રગતિ કહી શકાય, જે પાછળનું મોટું કારણ PMFBY હોઇ શકે છે. સરકારનું લક્ષ્ય છે કે, દર વર્ષે આ કવરેજમાં 10 ટકાનો વધારો નોંધાય અને વર્ષ 2019 સુધીમાં આ આંકડો 50 ટકા કવરેજ સુધી પહોંચે. આ હેતુસર જ સરકારે PMFBY ના નાણાંકીય ભંડોળમાં નોંધપાત્ર વધારો કર્યો હોય એવું બને. આ યોજનાને ફાળવવામાં આવેલ રકમ રૂ.5500 કરોડથી વધારીને 13 હજાર કરોડ કરવામાં આવી છે.
PMFBY હેઠળ 35.5 મિલિયન ખેડૂતોને વીમા દ્વારા આવકની સુરક્ષા આપવામાં આવી છે, નેશનલ એગ્રિકલ્ચર ઇન્સ્યોરન્સ સ્કિમ અને સુધારેલ NAIS મળીને ખરીફ 2013માં આ આંકડો માત્ર 12.1 મિલિયન હતો, ખરીફ 2015માં વધીને 25.4 મિલિયન થયો હતો. વળી વીમાની રકમમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, ખરીફ 2015માં આ રકમ રૂ.60,773 હતી, જે હવે PMFBY હેઠળ વધીને રૂ.1,08,055 થઇ છે.
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના
ભારતના કૃષિ ક્ષેત્રની સૌથી મોટી સમસ્યા છે કે, તે પાણી માટે ચોમાસા અને કુદરતી વરસાદ પર આધારિત છે. એક અંદાજ અનુસાર, કૃષિ માટે ઉપયોગી દેશની અડધા કરતા પણ વધુ જમીન માત્ર વરસાદ પણ નભે છે અને તેને સિંચાઇની તાતી જરૂરિયાત છે.
વર્ષ 2015માં સરકારે એક્સિલરેટેડ ઇરિગેશન બેનિફિટ્સ પ્રોગ્રામ(AIBP)માં સુધારા-વધારા કરી પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના(PMKCY) બહાર પાડી. આ યોજના દ્વારા સમગ્ર ભારતમાં સિંચાઇ માટે પાણી પૂરું પાડવાનો સરકારનો હેતુ છે.
PMKSY(પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજના)નો પ્રગતિ ચાર્ટ
આ યોજના હેઠળ 99 ટકા સિંચાઇ પ્રોજેક્ટ્સને અગ્રિમતા આપવામાં આવી છે. આ પૈકીના 21 પ્રોજેક્ટ્સ જૂન, 2017 સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. આ યોજનાઓ એક મુખ્ય હેતુ એ છે કે, દેશભરમાં માઇક્રો-સિંચાઇ પદ્ધતિના ઉપયોગમાં વધારો થાય. ખેતરોમાં ટપક સિંચાઇ પદ્ધતિ અને પાણીના છંટકાવની પદ્ધતિના ઉપયોગ દ્વારા પાણીની ઉપયોગિતા વધશે અને પાણીની માંગમાં ઘટાડો થશે.
PMKSY બાદ માઇક્રો-સિંચાઇ પદ્ધતિના ઉપયોગમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. વર્ષ 2005-06 અને વર્ષ 2016-17 સુધીના સમયગાળામાં, દેશની 60.83 હેક્ટર કૃષિ જમીન માઇક્રો સિંચાઇ પદ્ધતિ હેઠળ આવી ગઇ છે. પ્રથમ 9 વર્ષોમાં દર વર્ષે સરેરાશ 4.73 હેક્ટર સાથે 42.58 હેક્ટર જમીન આમાં ઉમેરાઇ હતી. છેલ્લા 3 વર્ષોમાં દર વર્ષે સરેરાશ 6 હેક્ટર સાથે 18.25 હેક્ટર જમીન ઉમેરાઇ છે.
સોઇલ હેલ્થ કાર્ડ સ્કિમ
કૃષિ માટે જમીન દુર્લભ સંસાધન છે, આથી જમીનની ફળદ્રુપતામાં વધારો કરવો પણ ખૂબ જરૂરી છે. આ માટે સરકારે ખેડૂતોને કૃષિની યોગ્ય તકનીકો અને જમીનની ઉત્પાદકતા વધારવા માટે જરૂરી માહિતી પૂરી પાડવાની જરૂર છે. ખેડૂતને તેમની ખેતીની જમીન અંગેની જરૂરી જાણકારી પૂરી પાડવા માટે જ સરકાર આ સોઇલ હેલ્થ કાર્ડ સ્કિમ લઇને આવી છે.
આ સ્કિમ હેઠળ ખેડૂતોએ તેમની ખેતીની જમીનની માહિતીને આધારે પાક અને ખાતર પસંદ કરવાના રહે છે. માર્ચ 2012 સુધીમાં 5 કરોડથી પણ વધુ ખેડૂતો પાસે સોઇલ હેલ્થ કાર્ડ હતા. એ માટે સરકારના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારો દ્વારા વિવિધ પહેલ કરવામાં આવી હતી. વર્ષ 2015માં મોદી સરકારે કહ્યું હતું કે, આગલા ત્રણ વર્ષમાં 14 કરોડ સોઇલ હેલ્થ કાર્ડ ઉપલબ્ધ કરાવવાનું તેમનું લક્ષ્ય છે.
ખેડૂતોને આ કાર્ડની વહેંચણી કર્યા બાદ, નિયમિત રીતે જમીનની ચકાસણી થાય તથા દર ત્રણ વર્ષે આ કાર્ડ રિઇસ્યુ થાય એ પણ સરકારે જોવાનું રહે છે. આ યોજના હેઠળ ખેડૂતોને તેમના પાકને અનુરૂપ ખાતર વાપરવાની સલાહ આપવામાં આવશે.
માટીના સેમ્પલનું પરીક્ષણ
છેલ્લા બે વર્ષોમાં સરકારે માટીના સેમ્પલના પરીક્ષણમાં સતત પ્રગતિ કરી છે. 2.53 કરોડ માટીના સેમ્પલના પરીક્ષણનો લક્ષ્ય હતો, જેમાંથી 2.3 કરોડ માટીના સેમ્પલનું પરીક્ષણ પૂર્ણ થઇ ચૂક્યું છે. જો કે, સોઇલ કાર્ડના પ્રિન્ટિંગ અને તેની વહેંચણીની પ્રક્રિયા પ્રમાણમાં ધીમી ચાલી રહી છે. અત્યાર સુધીમાં 7.11 કરોડ કાર્ડ વહેંચવામાં આવ્યા છે. માત્ર એક વર્ષનો સમય બાકી છે અને હજુ સરકાર પોતાનું લક્ષ્ય પૂરું કરવાના અડધે રસ્તે જ છે.
નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ(eNam)
ભારતમાં હાલ ખેડૂતો ટેક્નોલોજીના અભાવે એપીએમસી દ્વારા આપવામાં આવતી માહિતી પર જ આધારિત છે. આ કારણે વર્તમાન કિંમતની શોધ, ખોટી જાણકારી ધરાવતા ખરીદદારો, વિક્રેતાઓના ઉત્પાદનની ગુણવત્તા, વિશેષ વસ્તુઓની ઉપલબ્ધતાના સ્થાને જાણકારીની ખામી વગેરે જેવી સમસ્યાઓ ઉદભવે છે.
દેશભરના ખેડૂતોને રાષ્ટ્રવ્યાપી બજાર આપવાની જરૂરિયાતમાંથી એનએએમનો વિચાર ઉદભવ્યો હતો, જે યોજના એપ્રિલ 2016માં પાર પડી. એનએએમનો મુખ્ય હેતુ હતો, વર્તમાનમાં ઉપલબ્ધ એપીએમસી મંડી સાથે જોડાવું તેમની રાષ્ટ્રવ્યાપક પહોંચ નિશ્ચિત કરવી.
નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ
કૃષિ ક્ષેત્રે સરકાર દ્વારા કરવામાં આવેલ અન્ય નાની પરંતુ અતિ-મહત્વપૂર્ણ પહેલ છે નીમ કોટેડ યુરિયાનો ઉપયોગ. ધીરે-ધીરે સરકારે ઘરગથ્થુ યુરિયા ઉત્પાદકો માટે નીમ કોટિંગ ફરજિયાત કરી દીધું છે. નીમ કોટિંગથી ખાતરમાં રહેલ પોષક તત્વોની કાર્યક્ષમતામાં વધારો થાય છે અને આને કારણે બિન-કૃષિ હેતુસર થતા યુરિયાનો ઉપયોગ પણ ઘટે છે.
સારાંશ
મોદી સરકાર દ્વારા ખેડૂતોની આવકમાં વધારો કરવા માટે તથા તેમના જોખમમાં ઘટાડો કરવાના વિવિધ પગલા ભરવામાં આવ્યા છે. જો કે, જે સમસ્યાઓને ધ્યાનમાં લઇને આ યોજનાઓ ઘડવામાં આવી છે તે દૂર કરવા માટે યોજનાનું અમલીકરણ જરૂરી છે, એના પર જ યોજનાની સફળતાનો આધાર રહેલો છે. દા.ત. પાક વીમા યોજનાની પ્રક્રિયા તો જ સફળ થઇ ગણાય, જો તેના સેટલમેન્ટ ટાઇમમાં ઘટાડો થાય અને તેના લાભાર્થીઓ માટે આ યોજનાની પ્રક્રિયા સરળ બને.
સરકારે હેલ્થ કાર્ડ વહેંચણી સિવાય, ત્યાર બાદ આ યોજનાની ચકાસણી માટે સર્વે હાથ ધરવાના રહેશે, જેથી યોજનામાં કોઇ સુધાર-વધારાની જરૂર છે કે કેમ તથા સરકાર દ્વારા આપવામાં આવેલ જાણકારીના કારણે ખેતીની તકનીકમાં કોઇ પરિવર્તન કે સુધારો થયો છે કે કેમ એ જાણી શકાય. આ સિવાય સરકારે બજારમાં થતા અસ્થિર ભાવ પરિવર્તન સામે ખેડૂતોની આવક સુરક્ષિત કરવા પર ધ્યાનિ કેન્દ્રિત કરવાની જરૂર છે.
(આ લેખના લેખક નીતિન મહેતા રણનીતિ કન્સલ્ટિંગ એન્ડ રિસર્ચમાં મેનેજિંગ પાર્ટનર છે. લેખક પ્રણવ ગુપ્તા સ્વતંત્ર સંશોધક છે.)
{promotion-urls}