DRDOના વડાનું પદ કોન્ટ્રાક્ટ આધારિત ના હોઇ શકે, યુવા વડા લાવીશું : પારિકર
નવી દિલ્હી, 14 જાન્યુઆરી : ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ - DRDO)ના વડા અવિનાશ ચંદેરને તેમની કોન્ટ્રાક્ટની અવધિ પૂરી થાય એના 15 મહિના પહેલા જ પદ પરથી મુક્ત કરવાનો વિવાદાસ્પદ નિર્ણય લેવા અંગે આજે કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પાર્રિકરે સ્પષ્ટતા કરી હતી કે ડીઆરડીઓના વડાને દૂર કરવાનો નિર્ણય અમારો છે. આ હોદ્દા પર કોન્ટ્રાક્ટ બેઝ્ડ નહીં, પરંતુ યુવા વડા લાવવામાં આવશે.
બીજી તરફ ચંદેરે જણાવ્યું છે કે તેમને પદ પરથી દૂર કરવા અંગેની કોઇ જ નોટિસ મળી નથી. સરકાર તરફથી તેમને કોઇ સત્તાવાર જાણ કરવામાં આવી નથી. તેઓ નિયમિત રીતે બુધવારે પોતાના કામ પર આવ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે તેમને કોઇ પ્રકારની નોટિસ મળી નથી.
આ પહેલા સમાચાર આવ્યા હતા કે ડીઆરડીઓના વડા અવિનાશ ચંદેરને દૂર કરી દેવામાં આવ્યા છે. તેમનો કાર્યકાળ 31 જાન્યુઆરીના રોજ ખતમ થઇ રહ્યો છે. તેમને દોઢ વર્ષ માટે કોન્ટ્રાક્ટ પર રાખવામાં આવ્યા હતા. કેબિનેટની એપોઇન્ટમેન્ટ કમિટીએ અવિનાશ ચંદ્રને દૂર કરવાની મંજુરી આપી દીધી છે.
સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર શેખર બસુ ડીઆરડીઓના નવા ડાયરેક્ટર જનરલ બની શકે છે. જો કે તેમને પણ આ વાતની કોઇ માહિતી નથી. તેમણે જણાવ્યું કે સરકાર તરફથી તેમને જે જવાબદારી સોંપવામાં આવશે, તેનું પાલન કરશે.
મહત્વની બાબત એ છે કે દેશની રક્ષા સંશોધન અને વિકાસના સચિવ ઉપરાંત ડીઆરડીઓના મહાનિર્દેશક અને રક્ષા મંત્રીના વૈજ્ઞાનિક સલાહકાર અવિનાશ ચંદ્રને 64 વર્ષ પૂરા થતા પાછલા વર્ષે 30 નવેમ્બરના રોજ સેવાનિવૃત્ત થયા હતા. ત્યારે તેમની સાથે 31 મે, 2016 એટલે કે 18 મહિનાનો કોન્ટ્રાક્ટ કરવામાં આવ્યો હતો.
ચંદ્ર સાથે કોન્ટ્રાક્ટ કર્યા બાદ તેમની પદ પરથી હટાવી લેવાની સરકારના પગલા સામે અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. વિશ્લેષકોનું માનવું છે કે આ પગલું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ ટિપ્પણીને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું હતું કે ડીઆરડીઓના નિશ્ચિંતતાવાળા વલણને ચલાવી લેવામાં આવશે નહીં.