'ટોપી' અને 'વીજળીના થાંભલા'માં વહેંચાયું AIADMK
ચૂંટણી પંચ દ્વારા અમ્માની પાર્ટીનું મૂળ ચિહ્ન ફ્રિઝ કરી આ બંન્ને જૂથોને અલગ-અલગ પાર્ટીના નામ અને ચિહ્ન આપવામાં આવ્યા છે.
જયલલિતા ના નિધન બાદ તેમની પાર્ટી એઆઇએડીએમકે અને તમિલનાડુના રાજકારણમાં થયેલા વિવાદો હવે શાંત પડી રહ્યાં છે. જયલલિતાની પાર્ટી એઆઇએડીએમકે બે જૂથોમાં વહેંચાઇ ગઇ છે, ઓ.પન્નીરસેલ્વમ અને શશિકલા, આ બંન્ને પક્ષો પાર્ટી તથા પાર્ટીના ચૂંટણી ચિહ્ન પર પોતાનો દાવો રજૂ કરી રહ્યાં હતા. જો કે, ચૂંટણી પંચ દ્વારા અમ્માની પાર્ટીનું મૂળ ચિહ્ન ફ્રિઝ કરી આ બંન્ને જૂથોને અલગ-અલગ પાર્ટીના નામ અને ચિહ્ન આપવામાં આવ્યા છે.
12 એપ્રિલના રોજ છે ચૂંટણી
બુધવારે રાત્રે ચૂંટણી પંચે આ બંન્ને પક્ષોની રજૂઆત સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો, જે હેઠળ આ બેમાંથી કોઇ જૂથને પાર્ટીનું નામ કે ચિહ્ન ઉપયોગમાં લેવાની છૂટ નથી મળી. ત્યાર બાદ ગુરૂવારે ચૂંટણી પંચે સત્તાધારી પીર્ટી એઆઇએડીએમકેના આ બંન્ને મોટા જૂથોને માન્યતા આપતાં તેમને અલગ-અલગ ચૂંટણી ચિહ્નો અને પાર્ટીના નામ આપ્યા છે. બંન્ને જૂથોના નામમાં 'અમ્મા' શબ્દ આવે છે. 12 એપ્રિલના રોજ જયલલિતાની બેઠક આર.કે.નગર માટે પેટા-ચૂંટણી યોજાનાર છે, જેમાં આ બંન્ને જૂથો પોતાના નવા નામ અને નવા ચૂંટણી ચિહ્ન સાથે ચૂંટણી લડશે.
AIADMKના બે ભાગલા
રાજ્યની સત્તાનો કારભાર સંભાળનાર શશિકલાના જૂથનું નામ છે, AIADMK-અમ્મા. તેમને પહેલાં 'ઑટો રિક્ષા'નું ચિહ્ન આપવામાં આવ્યુ હતું, જો કે તેમની માંગ પર ચિહ્ન બદલીને 'ટોપી' કરવામાં આવ્યું. ઓ.પન્નીરસેલ્વમના જૂથનું નામ છે AIADMK-પુરાચી થલાવાઇ અમ્મા, તેમને 'વીજળીના થાંભલા'નું ચૂંટણી ચિહ્ન આપવામાં આવ્યું છે.
જયલલિતાનું ચૂંટણી ચિહ્ન થયું ફ્રિઝ
જયલલિતાની પાર્ટી એઆઇએડીએમકેનું નામ તથા તેનું ચૂંટણી ચિહ્ન હાલ ચૂંટણી પંચ દ્વારા ફ્રિઝ કરવામાં આવ્યું છે. જેનું કારણ સાફ છે, બંન્ને પક્ષો તરફથી ચૂંટણી ચિહ્નના દાવા માટે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અત્યંત લાંબા, જટિલ અને દળદાર છે, જેની ચકાસણી કરવા માટે ચૂંટણી પંચને સમયની જરૂર છે.
યોગ્ય ચકાસણી બાદ લેવાશે નિર્ણયઃ ચૂંટણી પંચ
બુધવારે આ અંગેની દલીલો લગભગ 6 કલાક સુધી ચાલી હતી. જે પછી આખરે ચૂંટણી પંચે બંન્ને પક્ષોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, એ વાતને કોઇ નકારી શકે એમ નથી કે, લગભગ 20,000 પાનાંના દસ્તાવેજો ચકાસવા એ નાનું કામ નથી. આ દસ્તાવેજો એક દિવસ આગળ જમા કરાવવામાં આવ્યા છે, જેની ચકાસણી માટે વધુ સમયની જરૂર છે. સાથે એમ પણ કહેવામાં આવ્યું હતું કે, બંન્ને પક્ષોની દલીલોના યોગ્ય મૂલ્યાંકન અને દસ્તાવેજોની વિગતવાર ચકાસણી બાદ જ આ મામલે કોઇ નિર્ણય લઇ શકાશે.