ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ, 9 ઘાયલ
રિપોર્ટ્સ અનુસાર ટ્રેન નંબર 59320 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન શાજાપુર વિસ્તારમાં જબ્દી સ્ટેશન પાસે પહોંચી જ હતી કે અચાનક તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સવારે લગભગ 9.50 વાગે થયો હતો.
મધ્ય પ્રદેશ ના શાજાપુરમાં મંગળવારે ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં ધમાકો થતાં દોડધામ થઇ ગઇ હતી. આ વિસ્ફોટને કારણે ઘબરાયેલા યાત્રીઓ ચાલતી ટ્રેનમાંથી કૂદી પડ્યાં હતા. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા હતા, જેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
વિસ્ફોટને કારણે ઉડી ગઇ છત
રિપોર્ટ્સ અનુસાર ટ્રેન નંબર 59320 ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેન શાજાપુર વિસ્તારમાં જબ્દી સ્ટેશન પાસે પહોંચી જ હતી કે અચાનક તેમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટ સવારે લગભગ 9.50 વાગે થયો હતો. આ વિસ્ફોટને કારણે કોચની છત અને ફ્લોરિંગમાં મોટું છિદ્ર પડી ગયું હતું, શરૂઆતની તપાસમાં કોચમાંથી ગન પાઉડર જેવો સામાન મળી આવ્યો હતો.
ગૃહમંત્રીએ આપ્યો તપાસનો આદેશ
મધ્ય પ્રદેશના ગૃહમંત્રી ભૂપેન્દ્ર સિંહે આ ઘટનાની તપાસ કરવાના આદેશ આપ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે. વિસ્ફોટ બાદ આગ લાગવાને કારણે દોડાદોડ થઇ ગઇ હતી અને કેટલાક યાત્રીઓ ચાલતી ટ્રેનમાંથી કૂદી ગયા હતા. કેટલાક યાત્રીઓએ ચેન ખેંચીને ટ્રેન રોકી હતી. આ વિસ્ફોટમાં ઘાયલ થયેલા લોકોને કાલાપીપલ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહીં વાંચો - 3 કલાક ચાલી જેઠમલાણી અને જેટલીની દલીલ, જેટલી થયા ભાવુક
સૂટકેસમાં વિસ્ફોટ થયો હોવાનો દાવો
રેલવેના ભોપાલ ડિવિઝનના પીઆરઓ આઇ.એ.સિદ્દીકીએ જણાવ્યું કે, મેડિકલ ટીમને ઘટનાસ્થળે મોકલી આપવામાં આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રેલવે પોલીસની એસપી કૃષ્ણા વેણીએ કહ્યું કે, શરૂઆતની તપાસમાં શોર્ટ-સર્કિટને કારણે આગ લાગી હોવાની વાત સામે આવી હતી. એક સૂટકેસમાં ધમાકો થયો હોવાનો દાવો પણ કેટલાક લોકોએ કર્યો હતો. આ મામલાની તપાસ થઇ રહી છે.