મધ્ય પ્રદેશ: ખેડૂતોનો રોષ ઉછળ્યો, વાહનોમાં ચાંપી આગ
મધ્ય પ્રદેશમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. દેવાસ જિલ્લામાં ઉગ્ર આંદોલનકારોએ 8-10 વાહનોમાં આગ ચાંપી દીધી હતી.
મધ્ય પ્રદેશના મંદસૌરમાં ખેડૂતોનું આંદોલન વધુ ઉગ્ર બન્યું છે. મંગળવારે આંદોલન દરમિયાન પોલીસે ખેડૂતો પર ગોળીબાર કર્યા બાદ મંદસૌરમાં કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે, જે હજુ યથાવત છે. ખેડૂતોએ પણ આ ગોળીબારના વિરોધમાં બુધવારે મધ્ય પ્રદેશ બંધની જાહેરાત કરી હતી.
મંદસૌરમાં આંદોલનકારોએ પોલીસના ગોળીબારમાં મૃત્યુ પામેલ ખેડૂતોના શબને રસ્તા પર મૂકી રસ્તો જામ કરી દીધો હતો. દેવાસમાં ઉગ્ર આંદોલનકારોએ આ સાથે જ 8-10 વાહનોમાં આગ પણ ચાંપી હતી. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે મધ્ય પ્રદેશ ગૃહ મંત્રાલય દ્વારા કેન્દ્રને પત્ર લખી, નીમચ, મંદસૌર, દેવાસ અને ઉજ્જૈન જેવા વિસ્તારો માટે અતિરિક્ત સુરક્ષા દળ મોકલવાની માંગણી કરવામાં આવી છે.
મંદસૌરના ડીએમ સ્વતંત્ર સિંહ ખેડૂતો સાથે વાતચીત કરવા માટે પહોંચ્યા હતા, જ્યાં તેમની સાથે પણ મારપીટ થઇ હતી. આથી ડીએમ અને અન્ય અધિકારીઓએ ત્યાંથી તાત્કાલિક નીકળી જવાની ફરજ પડી હતી. ખેડૂતો મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને બોલાવવાની માંગણી કરી રહ્યાં છે. આ ઉગ્ર પરિસ્થિતિને જોતાં સરકારે રતલામ, નીમચ, મંદસૌર અને ઉજ્જૈનમાં સેલ્યુલર ડેટા સેવાઓ બંધ કરી દીધી છે. કોંગ્રેસ ઉપાધ્યાક્ષ રાહુલ ગાંધી પણ બુધવારના રોજ ખેડૂતો સાથે મુલાકાત કરવા મંદસૌર જવાના હતા. આ અંગે જનતા દળ યૂનાઇટેડના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ શરદ યાદવે કહ્યું કે, 'આ લોકો મૃતકોની સંખ્યા 5-6 કહી રહ્યાં છે, પરંતુ મારું માનવું છે કે આ સંખ્યા વધુ હશે. મારી આજે જ રાહુલ ગાંધી સાથે મુલાકાત થઇ. અમે મંદસૌર જવાની યોજના બનાવી રહ્યાં છીએ.'
મધ્ય પ્રદેશના આંદોલનકારી ખેડૂતોના પક્ષમાં નિવેદન આપતાં નાના પાટેકરે કહ્યું કે, 'ખેડૂતોનું આંદોલન જેટલું દબાવશો, એટલું જ વધારે ભડકશે. ખેડૂતોની યોગ્ય માંગણીને તુરંત ધ્યાનમાં લઇ કાર્યવાહી કરવી જોઇએ.' તો સામે કોંગ્રેસ નેતા કમલનાથે કહ્યું કે, 'મધ્ય પ્રદેશમાં ખેડૂતો સાથે અન્યાય થયો છે. હું મંદસૌરની ઘટના મામલે યોગ્ય તપાસની માંગણી કરું છું. શરમજનક કહેવાય કે, અહીં શબ પર બોલી લગાવવામાં આવી રહી છે. 5 લાખ, 10 લાખ, 1 કરોડની વાત થઇ રહી છે. શિવરાજ ચૌહાણે રાજીનામું આપવું જોઇએ. આ તેમની જવાબદારી છે, તેમણે પોલીસ પર નહીં છોડવી જોઇએ.'