મારી પ્રાથમિકતા PM પદ નહીં, કોંગ્રેસ છે: રાહુલ ગાંધી
રાહુલને વર્ષ 2014માં યોજાનારી સામાન્ય ચૂંટણી માટે કોંગ્રેસ તરફથી પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાને લઇને લાંબા સમયથી ચાલી આવતી ચર્ચા અને માંગને ધ્યાનમાં રાખીને મંગળવારે રાહુલ ગાંધીએ પાર્ટીના સાંસદો અને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે તેઓ દૂરદર્શી રાજનીતિમાં વિશ્વાસ રાખે છે અને પદ નહીં પરંતુ પાર્ટી જ તેમની પહેલી પ્રાથમિકતા છે.
ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ આ પહેલા પણ કોંગ્રેસના નેતાઓને તેમને પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનાવવા સંબંધીત ભાષણબાજી કરવાનો ઇનકાર કરી દીધો હતો, અને મંગળવારે પણ તેમણે જણાવ્યું કે તેમનું સંપૂર્ણ ધ્યાન પાર્ટીને મજબૂત બનાવવા તરફ છે. જોકે તેમણે આ પ્રશ્ન પર કોઇ ટિપ્પણી નથી કરી કે જો પાર્ટી અને યુપીએ ગઠબંધન ત્રીજીવાર પણ ચૂંટણી જીતી જશે તો પ્રધાનમંત્રી કોને બનાવવામાં આવશે.
અત્રે નોંધનીય છે કે કોંગ્રેસમાં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રીના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર તરીકે જોવામાં આવી રહ્યા છે. દેશના નાગરીકો અને મીડિયા આ બંને નેતાઓની વચ્ચે જંગ કરાવવા માટે આતુર છે.