ઉત્તરાખંડના વિનાશની હૃદય ધ્રુજાવી દે તેવી દારૂણકથાઓ
ઉત્તરાખંડમાં હજારો લોકો ફસાયેલા છે. સેંકડો લોકોએ કુદરતના કહેરમાં પોતાનું જીવન ગુમાવી દીધું છે, જ્યારે હજારો હજુ પણ ત્યાં ફસાયેલા છે. ઉત્તરાખંડમાં કુદરતના આ કહેરને સાત દિવસ થઇ ગયા છે. છેલ્લા કેટલાક દિવસથી રાહતકાર્યએ વેગ પકડ્યો છે, પરંતુ આગામી 48 કલાકમાં ત્યાં મોસમ ફરીથી ખરાબ થવાનું છે અને હજુ ત્યાં 32 હજાર જેટલા લોકો ફસાયેલા છે. જો કે, પૂરમાં ફસાયેલા લોકો માટે ભારતીય સેનાના જવાનો અને એરફોર્સ મસિહા બનીને આવ્યા છે અને તેમને સુરક્ષિત સ્થળો પર લઇ જઇ રહ્યાં છે, તેમજ શક્ય તેટલી રાહત સેવા પૂરી પાડી રહ્યાં છે. આર્મી દ્વારા ઉત્તરાખંડમાં જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર બિરદાવવાને પાત્ર છે.
બીજી તરફ દહેરાદૂન પહોંચેલા કેન્દ્રીય ગૃહમંત્રી સુશિલ કુમાર શિંદેએ જણાવ્યા પ્રમાણે 30થી 32 હજાર લોકો હજુ પણ આફતગ્રસ્ત ક્ષેત્રોમાં ફસાયેલા છે, જ્યારે 73 હજાર લોકોને બચાવી લેવામાં આવ્યા છે. ગૃહમંત્રીએ જણાવ્યું કે, 1751 ઘર, 147 પૂલ અને 1307 રસ્તાઓને નુક્સાન પહોંચ્યા છે. આ સાથે આર્મીના જવાનો દ્વારા જે બચાવ કાર્ય કરવામાં આવ્યું છે તેમાં કોઇપણ પ્રકારનો વિક્ષેપ ઉત્પન્ન ના થાય તે માટે ગૃહમંત્રીએ સ્પષ્ટ નિર્દેશ આપ્યા છે કે ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિતના એક પણ વીઆઇપી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત ના લે, જેથી આર્મીના જવાનો તેમનું કામ સહેલાયથી કરી શકે. એટલું જ નહીં આ વિનાશમાં પોતાનાઓને ગુમાવનારાઓની એવી દર્દભરી દાસ્તાંઓ બહાર આવી રહી છે કે તેને સાંભળીને તમારું હાડ કંપી ઉઠશે.
ગામની તમામ મહિલાઓ વિધવા
કેદારનાથ પાસે સ્થિત ગામની તમામ મહિલાઓ વિધવા થઇ ગઇ છે. બામણી ગામની લગભત તમામ મહિલાઓ કેદારનાથ ઘટનામાં વિધવા થઇ ગઇ છે. ઘટનામાં માંડ-માંડ બચેલી મહિલાઓએ એક સ્થાનિક અખબારને જણાવ્યું કે, ચાર દિવસ સુધી કેદારઘાટીમાં ગામમાં ફસાયેલી રહી. જ્યાં માલુમ પડ્યું કે બામણી ગામના પુરુષો કેદારનાથમાં પૂજાપાઠ અને કર્મકાંડ કરાવે છે. તે સમયે ગામના બધા પુરુષો અને પુત્રો સહિત કેદારનાથમાં હતા. ગામમાં માત્ર મહિલાઓ અને યુવતીઓ હતી. બધા પંડિત પૂરમાં માર્યા ગયા છે.
કેદારનાથની યાત્રા ભયાનક સ્વપ્ન સમાન
કેદારનાથના દર્શન માટે ગયેલા નાગપુરના સંજય દેશપાન્ડે માટે આ યાત્રા એક ભયાનક સ્વપ્ન સમાન છે. સંજય દેશપાન્ડે છેલ્લા 23 વર્ષથી કેદારનાથ ટૂર આયોજિત કરે છે. આ વર્ષે 67 લોકોને લઇને તે કેદારનાથ ગયા હતા, પરંતુ વાદળ ફાટવાથી જે હાલત બન્યા તે કોઇ ખરાબ સ્વપ્નથી ઓછા નથી.
અધવચ્ચે ફસાયા
રમેશ ચંદ્રની કહાની પણ કંઇક એવી જ છે. તેમનું કહેવું છે કે યમુનોત્રી, ગંગોત્રી થઇને તેઓ કેદારનાથ જઇ રહ્યાં હતા. કેદારનાથ જતા રસ્તામાં ભારે વરસાદ હતો અને રસ્તો જામ હતો. પોલીસે અમને આગળ જતા રોક્યા અને અમે પાછળ જઇ શકીએ તેમ નહોતા. સવારે જોયુ તો પાછળ કોઇ રસ્તો બચ્યો નહોતો. અમે જેમ તેમ કરીને જિંદગી બચાવીને ત્યાંથી નીકળ્યા હતા.
તબાહીમાં કાપ્યા છ દિવસ
ફરીદાબાદના સેક્ટર 7ના રહેવાસી પુષ્પક ગુપ્તાએ પોતાની પત્ની અને બે નાની બાળકીઓ સાથે અને સેક્ટર નવમાં રહેતા રવિ પાટનકર પોતાની માતા, બે પુત્રી અને એક પુત્ર સાથે કેદારનાથની યાત્રા પર ગયા હતા. ગોરીકુંડમાં તેઓ આફતથી બચવા એક સ્કૂલમાં ગયા હતા. જ્યાં તેઓ છ દિવસ રોકાયા હતા. તેમની પાસે માત્ર નમકીનના બે પેકેટ હતા, જેમાં તેણે ચાર દિવસ કાપ્યા હતા. હાલત ખરાબ હતી. ખાવાનું પણ નહોતું, પ્રશાસનની મદદ પણ મળી નહોતી.
પતિના મૃતદેહ સાથે વિતાવી બે રાત
સહારનપુર નિવાસી સવિતા નાગપાલ પતિ સુરેન્દ્ર નાગપાલ સાથે બદ્રીનાથની યાત્રા પર ગયા હતા. સોમવારે રાત્રે અચાનાક હોટલમાં પાણી ઘુસી ગયુ અને આ વૃદ્ધ દંપત્તી રસ્તા પર આવી ગયા. આ દરમિયાન કાટમાળના ઝપેટમાં આવીને તેમના પતિ સુરેન્દ્ર નાગપાલનું મૃત્યું થયું. સવિતા બે દિવસ સુધી પોતાના પતિના મૃતદેહ પાસે રોતા રહ્યા. ત્રીજા દિવસે પુત્ર મુકેશે પહોંચીને પતિના અંતિમ સંસ્કાર કર્યા. મુકેશને દહેરાદુનમાં જ પિતાના મોતના સમાચાર મળી ગયા હતા.
હાથ છૂટ્યો ને પત્ની ગઇ
રાજસ્થાનના કરોલીના રહેવાસી કલ્યાણ સિંહ આ વિનાશમાં પોતાની પત્નીને ગુમાવીને શોકમાં છે. મીડિયા સામે તેમણે કહ્યું કે, હોટલમાં અચાનક પાણી ભરાવા લાગ્યું હતું. લોકો હોટલના ત્રીજા માળે આવી ગયા. આ વચ્ચે તેમની પત્ની માલતીનો હાથ છૂટી ગયો અને તે પાણીમાં તણાઇ ગઇ. તેમના દળના કેટલાક લોકો પણ સાથે તણાઇ ગયા.
આંખો સમક્ષ તરી રહી હતી લાશો
કેદારનાથ ગામના રહેવાસી સોહન સિંહ નેગીએ જણાવ્યું છે કે, મે મારી આંખો સમક્ષ 60 લાશોને તરતી જોઇ છે. અંદાજે 200 લોકો એવા છે કે જેમને હુ જાણું છું પરંતુ એમાના કોઇનો પણ અતો પતો નથી.
બિસ્કિટે રાખ્યા જીવતા
મહારાષ્ટ્રના ગોદિયામા રહેતી સાક્ષીએ તબાહીના મંજરને યાદ કરીને મીડિયાને જણાવ્યું કે, તેના દોઢ વર્ષના પુત્ર દિવ્યમ અને આઠ મહિનાની પુત્રી કૃતિકા સાથે ફસાઇ ગયા હતા. ખાવા માટે કંઇ નહોતું. દિવસભર બાળકોને બિસ્કિટના કેટલાક ટૂકડા આપ્યા કરતી હતી. હેલિકોપ્ટરથી દહેરાદૂન પહોંચવા પર તેમને વિશ્વાસ આવી રહ્યો નહોતો કે તેઓ ખરેખર બચી ગયા છે.
પતિએ બાહોમાં તોડ્યો દમ
એક દર્દભરી દાસ્તાં દેહરાદૂનના જૌલી ગ્રાન્ટ સ્થિત હિમાલયન હોસ્પિટલમાં દાખલ જોધપૂરની અરૂણા પવારની છે. તબાહીના રાત્રે અરૂણે પોતાના ડાયાબિટિક પેશન્ટ પતિ ચંદ્રકાન્ત પવાર અને મીત્ર હેમલતા સાથે રામબાડામાં ફસાઇ ગઇ હતી. ત્રણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદમાં તેઓ ત્યાં ફસાઇ રહ્યા. ખાવાનું નહીં મળવાના કારણે તેમના પતિની હાલત બગડી ગઇ અને તેમણે દમ તોડી દીધો. સેનાના બચાવ અભિયાનમાં બન્નેને જહેમત બાદ બહાર કાઢીને દહેરાદૂન લઇ જવામાં આવ્યા.
ચા વાળાનો આભાર
ધનંજય દેઓલેકરે પોતાની આપવીતિ જણાવતા કહ્યું કે ખરસંબાઇ ગામ નજીક રસ્તા પર આવેલા એક ટી સ્ટોલમાં પાંચ દિવસ વિતાવ્યા હતા. જ્યાં ભારે વરસાદ પડી રહ્યો હતો. અને અમારી પાસે બચવા માટે માત્રા પ્લાસ્ટિકની સીટ્સ જ હતી. અમે એ ચા વાળાનો આભાર માનીએ છીએ કે જેણે અમને ખાવાનું આપ્યું.
પોતાના પરિજનોને જોઇને લીધો રાહતનો શ્વાસ
આ આફતમાં ફસાયેલા યાત્રી બિકાનેર પહોંચ્યા છે. જેમાના ચાર હજુ પણ લાપતા છે. કેદારનાથતી સકુશળ પરત ફરેલા યાત્રીઓને જોઇને તેમના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો છે.
થાણેની મિશ્રા ફેમેલી
થાણેમાં રહેતા મિશ્રા પરિવારના ચાર સભ્યો કેદારનાથના અટક્યા છે. વશિષ્ટ અને કલાવતી મિશ્રા પોતાના બે સંબંધીઓ સાથે કેદારનાથ ગયા હતા, પરંતુ કેદારનાથ પહોંચ્યા બાદ તેમનો કોઇ સંપર્ક થયો નથી. અહીં થાણેમાં તેમનો પરિવાર ચિંતિત છે. ટીવી પર આવી રહેલી ઘટનાની ભયાનક તસવીરો જોઇને મિશ્રા પરિવારના લોકો ઘણા ચિંતિત છે.
દેશહતભર્યો રહ્યો પ્રવાસ
ગાજિયાબાદથી દર્શનાર્થે ગયેલા એક પરિવારે જણાવ્યું કે, એ વિનાશની દહેશત હજુ પણ તેમના દિલોદિમાગમાંથી નીકળી રહી નથી. તબાહી પછીની તસવીરો પણ આ પરિવારે લીધી છે. તેમજ ગાજિયાબાદના બે પરિવારના સાત લોકો હજુ પણ ત્યાં ફસાયેલા છે.