ઓબામા માટે ચમકી રહ્યું છે તાજમહેલ, 600 સફાઇ કર્મચારીઓને લગાવાયા કામે
આગરા, 23 જાન્યુઆરી: અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં વિશેષ અતિથિ તરીકે હાજરી આપવા ભારત આવી રહ્યા છે. પોતાના ભારત પ્રવાસ દરમિયાન ઓબામા પોતાના પત્ની મિશેલ ઓબામાની સાથે દુનિયાની 8મી અજાયબી તાજમહેલને જોવા માટે આગરા જશે. જેને લઇને ચોતરફ તેમના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. એવામાં ઓબામાની આગરા મુલાકાતના સંદર્ભમાં આગરા અને તાજમહેલના આસપાસના વિસ્તારોમાં વિશેષ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
સફાઇ ઝૂંબેશની વાત કરીએ તો, તાજમહેલ અને નજીકના દસ કિલોમીટરના રસ્તાઓને ચમકાવવા માટે હાલ 600 જેટલા સફાઈકર્મીઓને કામે લગાવી દેવામાં આવ્યા છે. મજાની વાત એ છે કે સફાઇકર્મીઓ સાબુવાળા પાણીથી પોતા અને બ્રશ લઈને અહીંના રસ્તાઓને ઘસી ઘસીને સાફ કરી રહ્યા છે. આ માટે આ સફાઈકર્મીઓને પ્રતિ દિવસના ત્રણસો રૂપિયાનો પગાર નક્કી કરવામાં આવ્યો છે.
આ સફાઇ હેઠળ તેઓ રસ્તાની વચ્ચે અને સાઇડમાં આવેલી સફેદ લાઇનોને ઘસે છે, આ વિસ્તારના કૂતરાઓ, ગાયોને દૂર કરવા મ્યુનિસિપાલટીના કર્મચારીઓને પણ કામે લગાવવામાં આવ્યા છે, પત્ની મિશેલ સાથે તાજમહેલ જોવા માટે આવી રહેલા બરાક ઓબામા અનેક સિક્યુરિટી કમાન્ડોથી ઘેરાયેલા રહેશે. આમ છતા રાજ્ય અને કેન્દ્ર સરકારની ઇચ્છા છે કે તેમની ઉપર અજાયબી અને આગરાની છાપ સારી રહે. જેના માટે અખિલેશ સરકારે પણ વિવિધ પગલા હાથ ધર્યા છે.
અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ભારત યાત્રાને પગલે મોદી સરકાર જોરદાર તૈયારીઓ કરી રહી છે. ઓબામા 27 જાન્યુઆરીએ પ્રેમના પ્રતિક એવા તાજમહેલની મુલાકાત લેવાના છે. જેના માટે તાજમહેલ નજીકના રસ્તાઓને પણ ચમાકાવવામાં આવી રહ્યા છે. અને તાજમહેલ પર ચાંપતો બંદબોસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઓબામાની મુલાકાત દરમિયાન જ તાજમહેલમાં અન્ય પ્રવાસીઓનું આવાગમન બંધન રહેશે, બાદમાં તે આખા દિવસ માટે સૌના માટે ખુલ્લુ રહેશે.
વિશ્વની આઠમી અજાયબીને ચમકાવવામાં સફાઇ કર્મચારીઓને ધંધે લગાડવામાં આવ્યા છે. તાજના પાછળના ભાગેથી વહી રહેલી યમુના નદીમાંથી અત્યાર સુધીમાં બે ટન જેટલો કચરો ખેંચી કાઢવામાં આવ્યો છે. માળીઓને પણ અહીંના ગાર્ડન અને પરિસરને સુંદર બનાવવાનું કામ સોંપી દેવામાં આવ્યું છે.
ઓબામાની સુરક્ષાને પગલે 3000થી વધુ સુરક્ષા જવાનોને અહીં ખડેપગે કરી દેવામાં આવશે. આ સાથે જ યમુના નદીમાં બોટ દ્વારા નજર રાખવામાં આવી રહી છે. અહીં સુધી કે અન્ય પ્રવાસીઓને પણ ઓબામાની મુલાકાતના સમય દરમિયાન એન્ટ્રી નહીં મળે.