સુપરકૉપ કેપીએસ ગિલનું નિધન, PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
પંજાબના પૂર્વ ડીજીપી કેપીએસ ગિલનું શુક્રવારે બપોરે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં નિધન થયું હતું.
પંજાબના પૂર્વ ડીજીપી કેપીએસ ગિલનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ 82 વર્ષના હતા. શુક્રવારે બપોરે 2.30 વાગ્યે દિલ્હીની ગંગારામ હોસ્પિટલમાં તેમનું નિધન થયું હતું. ગિલ ઘણા સમયથી બીમાર હતા, 18 મેના રોજ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબોએ જણાવ્યું કે, તેમની બંન્ને કિડની ફેલ થઇ ગઇ હતી અને અચાનક આવેલ હૃદયરોગના હુમલાને કારણે તેમનું મૃત્યુ થયું હતું.
દેશની નોંધપાત્ર હસતીઓમાંના એક કેપીએસ ગિલ બે વખત પંજાબના ડીજીપી રહી ચૂક્યા હતા. પંજાબમાં આતંકવાદ ખતમ કરવામાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી. આ કારણે જ તેઓ દેશભરમાં લોકપ્રિય થયા હતા. તેમના મૃત્યુ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વ્યક્ત કર્યું હતું.
KPS Gill will be remembered for his service to our nation in the fields of policing & security. Pained by his demise. My condolences.
— Narendra Modi (@narendramodi) May 26, 2017
કેપીએસ ગિલ અંગે જાણવા જેવી વાતો
- કેપીએસ ગિલનો જન્મ પંજાબના લુધિયાનામાં વર્ષ 1934 માં થયો હતો.
- તેઓ વર્ષ 1958 માં ભારતીય પોલીસ સેવામાં જોડાયા હતા.
- તેમણે ઉત્તર-પૂર્વ રાજ્ય આસામથી પોતાની પોલીસ કારકિર્દીની શરૂઆત કરી હતી.
- ગિલ 1995માં ભારતીય પોલીસ સેવામાંથી નિવૃત્ત થયા હતા.
- તેઓ ઇન્ડિયન હોકી ફેડરેશન (IHF) ના અધ્યક્ષ પણ હતા.
- સિવિલ સેવામાં મહત્વપૂર્ણ યોગદાન માટે તેમને વર્ષ 1989 માં પદ્મ શ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.
- 2006 માં સુરક્ષા સલાહકાર હતા, ત્યારે તેમણે છત્તીસગઢના બસ્તરમાં ત્રણ રસ્તાઓના બાંધકામ માટે સરકારને ભલામણ કરી હતી.
- કેપીએસ ગિલે અફઘાનિસ્તાનના મામલે પણ કામ કર્યું હતું.
- ત્યાં યુદ્ધના વાતાવરણમાં પણ તેમણે 218 કિલોમીટર દેલારમ-જરંજ હાઇવેનું નિર્માણ ચાર વર્ષમાં કરાવ્યું હતું.