સરેન્ડર ન કરતાં ગાયત્રી પ્રજાપતિની સંપત્તિ 6 માર્ચ સુધીમાં થશે જપ્ત
ગાયત્રી પ્રજાપતિની સંપત્તિ 6 માર્ચ સુધીમાં જપ્ત કરવાનો નિર્દેશ, ગાયત્રી પ્રજાપતિ પર સરેન્ડર કરવાનું દબાણ વધી રહ્યું છે.
સપા ઉમેદવાર અને ગેંગરેપના આરોપી ગાયત્રી પ્રજાપતિની મુશ્કેલી વધતી જાય છે. છેલ્લા ઘણા દિવસોથી ગાયત્રી પ્રજાપતિ ફરાર છે, આ કારણે તેમનો પાસપોર્ટ જપ્ત કરી લેવામાં આવ્યો છે તથા તેમની વિરુદ્ધ બિનજામીન પાત્ર વોરંટ પણ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ આત્મ સમર્પણ માટે તેમને 6 માર્ચ સુધીનો સમય આપવામાં આવ્યો છે, નહીં તો તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવશે.
ગાયત્રી પ્રજાપતિના મામલે ભાજપ ના પ્રવક્તા શ્રીકાંત શર્માએ અખિલેશ પર પલટવાર કરતાં કહ્યું કે, જે ડાયલ 100નો અખિલેશ યાદવ પ્રચાર કરે છે, તે પોલીસ છેલ્લા 20-22 દિવસથી ગાયત્રી પ્રજાપતિને પકડવામાં નિષ્ફળ રહી છે.
ચાર અઠવાડિયા માટે પાસપોર્ટ સસ્પેન્ડ
ગાયત્રી પ્રજાપતિનો પાસપોર્ટ ચાર અઠવાડિયા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, ગાયત્રી પ્રજાપતિ સિવાય તેમના અન્ય 6 સાથીદારો વિરુદ્ધ પણ પાક્સો કોર્ટના સ્પેશિયલ જજ લક્ષ્મીકાંત રાઠોડે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ પછી કાનપુર, અમેઠી સહિત લખનઉના તમામ વિસ્તારોમાં તેમની ધરપકડ કરવા માટે પોલીસ છાપા મારી રહી છે. આ મામલે રાજ્યપાલ રામ નાઇકે કહ્યું કે, ગાયત્રી પ્રજાપતિએ સરન્ડર કરવું જોઇતું હતું, પરંતુ એમણે એવું ન કર્યું. મને વિશ્વાસ છે કે પોલીસ પોતાનું કામ કરી રહી છે.
મુખ્યમંત્રીના ઘરમાં છે ગાયત્રી પ્રજાપતિ
ગાયત્રી પ્રજાપતિ ફરાર થયા બાદ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે, તેઓ દેશ છોડીને ભાગી શકે છે. આથી દેશના તમામ એરપોર્ટ પર લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે, ગાયત્રી પ્રજાપતિ દેશ છોડીને ભાગવામાં સફળ થયા તો એના માટે મુખ્યમંત્રી અખિલેશ યાદવ જવાબદાર હશે. તેમણે આરોપ લગાવ્યો કે, ગાયત્રી પ્રજાપતિને અખિલેશ યાદવે મુખ્યમંત્રી આવાસમાં સંતાડી રાખ્યા છે અને પોલીસ નાટક કરી રહી છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે ગાયત્રી પ્રજાપતિને ખૂબ આયોજનપૂર્વક ભગાડવામાં આવ્યા છે. યુપી પોલીસ હંમેશા તેમની સાથે રહે છે, પોલીસને તેમના તમામ ઠેકાણાઓ ખબર છે, પરંતુ જાણી જોઇને તેમની ધરપકડ કરવામાં નથી આવી રહી.
પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ ગાયત્રી પ્રજાપતિ વિરુદ્ધ રેપનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. યુપીના એડીજી લો એન્ડ દલજીત સિંહ ચૌધરીએ લખનઉના એસએસપી મંઝિલ સૈનીને તમામ આરોપીઓના પાસપોર્ટ પર નજર રાખવાનું કહ્યું છે. તેમણે આગળ જણાવ્યું હતું કે, એમ્સમાં ડીએસપી અમિતા સિંહની હાજરીમાં સગીર પીડિતાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવી છે, આ દરમિયાન પીડિતાની માતા પણ ત્યાં હાજર રહી હતી.
દબાણપૂર્વક નોંધવામાં આવ્યું નિવેદન
તો બીજી બાજુ પીડિતાની માતાનો આરોપ છે કે, નિવેદન નોંધાવવા માટે તેમની પર પોલીસ દ્વારા દબાણ કરવામાં આવ્યું હતું. પીડિતાના વકીલનો આરોપ છે કે, પોલીસે ધમકી આપી દબાણપૂર્વક નિવેદન લીધું છે. ઉલ્લેખીય છે કે, પીડિત મહિલાએ જણાવ્યું હતું કે, ગાયત્રી પ્રજાપતિ અને તેમના સાથીઓએ લગભગ 1 વર્ષ સુધી તેમની સાથે દુષ્કર્મ આચર્યું હતું, પરંતુ તેમણે જ્યારે મહિલાની સગીર પુત્રી સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયત્ન કર્યો તો મહિલાએ આખરે પોલીસનો દરવાજો ખખડાવ્યો. પોલીસ મથકમાં મહિલાની ફરિયાદ ન નોંધાતા તેમણે સુપ્રીમ કોર્ટની મદદ લેવાનો વારો આવ્યો હતો.
અહીં વાંચો