આનંદો! એક્સપ્રેસ ટ્રેનના ભાડા પર રાજધાની ટ્રેનની સફર, 1 એપ્રિલથી
ટ્રેનમાં મુસાફરી કરતા તમામ યાત્રીઓ માટે રેલવે પ્રશાસન લાવી છે એક સાચા સમાચાર. જેને વિગતવાર વાંચો અહીં...
ઉનાળાના વેકેશન પહેલા જ રેલવે દ્વારા તેના યાત્રીઓ માટે એક ખાસ સુવિધા ચાલુ કરવાનો નવતર પ્રયાસ કરવામાં આવ્યો છે. તો જો તમે 1 એપ્રિલ પછી રેલવેની મુસાફરી કરવાનો છો તો આ સમાચાર તમારા કામના છે. પ્રાપ્ત માહિતી મુજબ મેલ અથવા તો એક્સપ્રેસ ટ્રેન ટિકિટ બુક કરાવીને તે રાજધાની કે શતાબ્દી ટ્રેનની મુસાફરીની મજા માણી શકો છો. 1 એપ્રિલથી લાગુ થતી આ સુવિધામાં જો તમારું નામ વેટિંગ લિસ્ટમાં લાંબા સમયથી હશે તો તમને રાજધાની કે શતાબ્દી જેવી ટ્રેનોમાં સફર કરવાનો મોકો મળી શકે છે. પણ તે સુવિધા લેવા માટે તમારે ટિકિટ બુક કરાવતી વખતે વિકલ્પ નામના ઓપશનને ક્લિક કરાવું રહેશે. જેથી વેટિંગ લિસ્ટના યાત્રીઓને અન્ય વૈકલ્પિક ટ્રેનોની કંન્ફર્મ ટિકિટ મળી શકે.
સૌથી સારી વાત તો એ છે કે આ સુવિધા માટે પ્રવાસી પાસેથી કોઈ એક્સ્ટ્રા ચાર્જ પણ લેવામાં નહીં આવે. તેમજ ભાડાંના ફરક માટે કોઈ રીફંડ પણ આપવામાં નહીં આવે. 1 એપ્રિલથી રેલવે દ્વારા ચાલુ કરવામાં આવી રહેલી આ વિકલ્પ નામની યોજના હેઠળ તમામ મુખ્ય માર્ગે પર ચાલતી રાજધાની, શતાબ્દી, દુરંતો જેવી અને અન્ય ખાસ સેવા ટ્રેનોની ખાલી બેઠકોને ભરવામાં આવશે.
નોંધનીય છે કે દર વર્ષે રેલવે દ્વારા રિફંડ પેટે મુસાફરોને રૂ. 7500 કરોડ પરત આપવામાં આવે છે. જ્યારે અનેક વ્યસ્ત રૂટ્સ પર પણ અનેક ટ્રેનોમાં બર્થ ખાલી રહે છે. તે જોતા રેલવે મંત્રાલય દ્વારા આ અનોખી યોજનાને અમલમાં મૂકવાની પહેલ કરવામાં આવી છે. જો કે હાલ તો રેલવે 1 નવેમ્બર સુધી આ યોજનાને 6 રૂટ પર પાયલોટ આધારે શરૂ કરશે. વધુમાં આ સુવિધા માત્ર ઓનલાઈન ટિકિટ બુક કરાવનાર યાત્રીઓને જ આપવામાં આવી રહી છે. પરંતુ ટૂંક સમયમાં બુકિંગ કાઉન્ટર પર ટિકિટ બુક કરાવતી વખતે પણ આ સુવિધા મળશે