ભારતનું ગુડવિલ જેસ્ચરઃ 11 પાક. કેદીઓને આજે મળશે આઝાદી
12 જૂનના રોજ ભારત સરકાર 11 પાકિસ્તાની કેદીઓેને મુક્ત કરશે.
કઝાકિસ્તાનની રાજધાની અસ્તાનામાં શંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન(SCO) દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથેની ઔપચારિક મુલાકાત બાદ નરેન્દ્ર મોદીએ એક ખૂબ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ ભારતમાં કેદ 11 પાકિસ્તાની કેદીઓને સ્વતંત્ર કરવામાં આવશે. આજે એટલે કે 12 જૂનના રોજ 11 કેદીઓને સ્વતંત્ર કરવામાં આવશે. અધિકારીઓએ નરેન્દ્ર મોદીના આ નિર્ણયને ગુડવિલ જેસ્ચરનું નામ આપ્યું છે.
આ નિર્ણય અંગે પાકિસ્તાનનું કહેવું છે કે, આ તમામ કેદીઓએ પોતાની સજા પૂરી કરી લીધી છે અને આથી ભારત તેમને મુક્ત કરી રહ્યું છે. અંગ્રેજી વેબસાઇટ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા અનુસાર, આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાનની મિલિટ્રી કોર્ટ દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મૃત્યુની સજા સંભળાવ્યા બાદ ભારત સરકારનો આ પ્રકારનો આ પહેલો નિર્ણય છે. અસ્તાનામાં મોદી અને શરીફ વચ્ચે થયેલ મુલાકાત બાદ લેવામાં આવેલો કેદીઓને મુક્ત કરવાનો આ નિર્ણય ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.
ભારતીય અધિકારીઓએ કહ્યું કે, કેદીઓને મુક્ત કરવા એ માનવતા સાથે જોડાયેલ મુદ્દો છે. આ પરથી એવું ન માનવું જોઇએ કે, જાધવના મામલે ભારતના વલણમાં કોઇ પરિવર્તન આવ્યું છે. સરકારને આશા છે કે, પાકિસ્તાનની જેલમાં બંધ ભારતીય કેદીઓને પણ ત્યાંની સરકાર મુક્ત કરશે. સરકાર અનુસાર, વર્તમાન સમયમાં પાકિસ્તાનની જેલમાં 132 ભારતીય કેદીઓ બંધ છે, જેમાંથી 57 કેદીઓની સજા પૂર્ણ થઇ ચૂકી છે.