ગોરખપુર: બાળકોનો મૃત્યુઆંક 68, CM યોગી થયા ભાવુક
રવિવારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રિય મંત્રી જે.પી.નડ્ડાએ ગોરખપુર ખાતે બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
ગોરખપુરની બીઆરડી હોસ્પિટલમાં બાળકોની મૃત્યુની ઘટનાઓ હજુ ચાલુ જ છે. રવિવારે મગજ પર તાવ ચડતા ચાર વર્ષના વધુ એક બાળકનું મૃત્યુ થયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં આ આંકડો 68 પર પહોંચ્યો છે. શુક્રવારે ખબર આવી હતી કે, 48 કલાકની અંદર બીઆરડી હોસ્પિટલમાં ઑક્સિજન સિલિન્ડરની ખોટને કારણે 30 બાળકો મુત્યુ પામ્યા હતા. 7 ઓગસ્ટથી 11 ઓગસ્ટની વચ્ચે આ હોસ્પિટલના 68 બાળકોનું મૃત્યુ થયું છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે, આ હોસ્પિટલને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડનાર કંપની પુષ્પા સેલ્સ દ્વારા પહેલા જ સૂચના આપવામાં આવી હતી કે, હોસ્પિટલ દ્વારા ચૂકવણી ન થતાં કંપની તરફથી સિલિન્ડરની સપ્લાઇ રોકવામાં આવી છે. આમ છતાં, હોસ્પિટલ દ્વારા કોઇ પગલું લેવામાં નહોતું આવ્યું.
આ મામલે વધુ જાણકારી મેળવવા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે ગોરખપુર પહોંચ્યા હતા, તેમણે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી જે.પી.નડ્ડા સાથે બીઆરડી હોસ્પિટલની મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં પરિસ્થિતિનો તાગ મેળવ્યા બાદ યોગી આદિત્યનાથે મીડિયાને સંબોધિત કરતાં કહ્યું હતું કે, પીએમ મોદી પણ આ ઘટનાથી ચિંતિત છે અને તેમણે દરેક સંભવ મદદની ખાતરી આપી છે. તેમણે જ સ્વાસ્થ્ય મંત્રીને ગોરખપુર મોકલ્યા છે. આ આખા મામલાની તપાસ જરૂરી છે. જે બાળકોનું આમ મૃત્યુ થયું છે, એમના માટે મારા કરતા વધુ સંવેદના કોઇના મનમાં નહીં હોય. આ સાથે યોગી આદિત્યનાથ થોડા ભાવુક થઇ ગયા હતા.
યોગી આદિત્યનાથે આગળ કહ્યું હતું કે, તપાસ સિમિતિની રિપોર્ટ બાદ જ આની પાછળનું ચોક્કસ કારણ કહી શકાશે. જો કોઇની બેદરકારીને કારણે આખા ઉત્તર પ્રદેશમાં ક્યાંય પણ કોઇનો પણ જીવ ગયો હશે, તો એને છોડીશું નહીં.