તમારા સુધી જલ્દી કેશ પહોંચે તે માટે સરકારે લીધો આ મોટો નિર્ણય
સરકાર ટ્રાંસપોર્ટેશનની બધી રીતો ઉપયોગ કરી રહી છે જેમાં હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેનનો પણ સમાવેશ થાય છે...
સરકારે લોકોને પડી રહેલી કેશની તકલીફને ધ્યાનમાં લેતા કેશને પ્રીંટીંગથી લઇને બેંક સુધી પહોંચાડવામાં લાગતા 21 દિવસના સમયને ઘટાડીને 6 દિવસ બનાવવાની યોજના બનાવી લીધી છે. આ માટે સરકાર ટ્રાંસપોર્ટેશનની બધી રીતોનો ઉપયોગ કરી રહી છે જેમાં હેલિકોપ્ટર અને એરફોર્સના પ્લેનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
સરકારને આશા છે કે આગામી અઠવાડિયામાં બધી સ્થિતિ નોર્મલ થઇ જશે. સરકાર માત્ર શહેરી વિસ્તારમાં જ નહિ પરંતુ ગ્રામીણ વિસ્તારમાં પણ કેશની સમસ્યાને ઉકેલવા કટિબદ્ધ છે. ઉચ્ચ સરકારી સૂત્રો અનુસાર બધી આર્થિક ગતિવિધિઓ 15 જાન્યુઆરી સુધી સામાન્ય થઇ જશે.
500 અને 1000 ની નોટ બંધ થવાને કારણે સરકારને જે આવક થશે તેનો ઉપયોગ બેંકોના રીકેપિટલાઇઝેશન, ઇંફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં અને સેના માટે એડવાંસ વેપન સિસ્ટમ માટે કરવામાં આવશે.
9 નવેમ્બરથી બંધ છે નોટ
તમને જણાવી દઇએ કે સરકારે 500 અને 1000 રુપિયાની નોટોને 9 નવેમ્બરથી બંધ કરી દીધી છે અને આના બદલે 500 અને 2000 રુપિયાની નવી નોટો જારી કરી છે. સાથે જ હોસ્પિટલ, રેલવે સ્ટેશન, દૂધ બુથ, પેટ્રોલ પંપ જેવી જ્ગ્યાઓ પર 24 નવેમ્બર સુધી જૂની નોટો ચલાવી શકવાની છૂટ આપવામાં આવી છે.
દેશના ઘણા બધા એટીએમ જરુરિયાત અનુસાર કામ કરી શકતા નથી જેના કારણે મોટાભાગના એટીએમ બંધ રહે છે અને જે ખૂલે છે તેની સામે લાંબી લાઇનો લાગેલી હોય છે. બેંકો સામે પણ લાંબી લાઇનો લાગેલી હોય છે. સરકારે જૂની નોટ પ્રતિદિન 2000 રુપિયાના હિસાબે બદલવા માટે 30 ડિસેમ્બર સુધીનો સમય આપ્યો છે.