તમિલનાડુનું રાજનૈતિક સંકટઃ હવે રાજ્યપાલ કરશે નિર્ણય
તમિલનાડુમાં ઉઠેલા રાજકારણીય સંકટમાં હવે રાજ્યપાલ સી. વિદ્યાસાગરના માથે નિર્ણય લેવાની જવાબદારી આવી પડી છે. તેઓ આજે ચેન્નાઇ પહોંચશે અને શશિકલા તથા અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે.
તમિલનાડુ માં રાજકારણનું વાતાવરણ ગરમાયું છે. એઆઇએડીએમકે નો વિવાદ વધતો જાય છે, જયલલિતાના નિધન બાદ જ પક્ષમાં ઘણા મતભેદો ઊભા થઇ ગયા હતા. હવે સત્તાનો સંગ્રામ ખુલીને સામે આવી રહ્યો છે. આ વિવાદ વચ્ચે અન્નામુદ્રકના અધ્યક્ષ શશિકલા ની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં 131 ધારાસભ્યો હાજર રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. તો બીજી બાજુ ખબર છે કે રાજ્યપાલ સી.વિદ્યાસાગર રાવ આજે ચેન્નાઇ પહોંચશે.
ચેન્નાઇમાં તેઓ શશિકલા અને અન્ય ધારાસભ્યો સાથે મુલાકાત કરશે અને આ રાજકારણીય વિવાદ પર પૂર્ણવિરામ લગાવવાનો પ્રયાસ કરશે. હવે પ્રશ્ન એ છે કે, મુખ્યમંત્રી પદનો કારભાર કોના હાથમાં આવશે? શશિકલા નટરાજન કે ઓ પન્નીરસેલ્વમ? આ નિર્ણય હવે રાજ્યપાલના હાથમાં છે. તેઓ પહેલાં જ પન્નીરસેલ્વમનું રાજીનામું સ્વીકારી ચૂક્યા છે અને હાલ તેમને અસ્થાયી મુખ્યમંત્રી તરીકે કામગીરી બજાવવાનો નિર્દેશ આપ્યો છે. આ લડાઇમાં છેલ્લે જીત એની થશે જેના પક્ષમાં વધુમાં વધુ ધારાસભ્યો ઊભા હશે. શશિકલા પહેલાં જ દાવો કરી ચૂક્યા છે કે, પક્ષના મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે છે.
તો સામે ઓ.પન્નીરસેલ્વમ નું કહેવું છે કે, તેમણે શશિકલાના દબાણમાં રાજીનામું આપ્યું છે. રાજીનામું આપ્યા બાદ તેઓ અમ્માની સમાધિ પર ગયા હતા અને તેમણે કહ્યું હતું કે, જયલલિતાની ઇચ્છા હતી કે તેઓ જ તમિલનાડુના મુખ્યમંત્રી બને. તેમણે કહ્યું કે, તેમની પાસે ધારાસભ્યોનું સમર્થન છે અને તેઓ યોગ્ય સમય આવતા સદનમાં બહુમત સાબિત કરશે. સામે શશિકલાએ સેલ્વમ પર વિપક્ષો સાથે મળી વિશ્વાસઘાત કરવાનો આરોપ લગાવ્યો હતો.
આ તમામ વિવાદો વચ્ચે મુંબઇ સ્થિત રાજભવનમાંથી ખબર આવી છે કે, રાજ્યપાલ સી.વિદ્યાસાગર આ આખા મુદ્દા પર નજર કરવા આજે ચેન્નાઇ આવવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે, તેમને માથે મહારાષ્ટ્રનો પણ ભાર છે. તમિલનાડુમાં સર્જાયેલા આ વિવાદમાં સી.વિદ્યાસાગર પર પણ આરોપ લગાવાયો હતો કે, તેઓ શશિકલાને શપથ લેવડાવવા માંગતા હોવાથી જ વિવાદથી દૂરી બનાવી રહ્યાં છે.
અહીં વાંચો - PM મોદીએ લગાવ્યો મનમોહન પર આરોપ, વિપક્ષનું વોકઆઉટ