ગાંધી કરતાં મોટી બ્રાન્ડ છે મોદી! - અનિલ વિજ
અનિલ વિજે કહ્યું કે, ગંધી એવું નામ છે કે, જે દિવસથી એમનો ફોટો નોટ પર છપાયો, નોટની કિંમત જ ઘટી ગઇ!
ખાદી ગ્રામોદ્યોગના કેલેન્ડર પર મહાત્મા ગાંધીની જગ્યાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો છપાતાં વિવાદ સર્જાયો હતો, એ વિવાદ હજુ શમ્યો નથી, ત્યાં તો ભાજપના જ મંત્રી અનિલ વિજે આ અંગે અન્ય એક વિવાદિત નિવેદન કર્યું છે. અનિલ વિજ પાસે જ્યારે આ મામલે પ્રતિક્રિયા માંગવામાં આવી તો તેમણે કહ્યું કે, 'ખાદી સાથે ગાંધીનું નામ જોડાયું છે તેથી ખાદી ઊંચે આવી જ નથી, ડુબી ગઇ. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ગાંધીનું નામ એવું છે કે જ્યારથી નોટ પર તેમનો ફોટો છપાયો છે, ત્યારથી નોટની કિંમત ઘટી ગઇ છે.'
"ગાંધી કરતાં મોદી મોટી બ્રાન્ડ"
હરિયાણાના ભાજપ સરકારના મંત્રી અનિલ વિજે કહ્યું કે, સારું થયું કે, કેલેન્ડમાં ગાંધીની જગ્યાએ મોદીનો ફોટો છાપ્યો. મોદી વધારે મોટું બ્રાન્ડ નેમ છે. મોદીનો ફોટો લાગવાથી ખાદીનું વેચાલ 14 ટકા વધ્યું છે. તેમનો આવો જવાબ સાંભળી પત્રકારોએ પૂછ્યું, તમારી સરકારમાં નવી નોટો છપાઇ છે, તો એના પરથી ગાંધીનો ફોટો કેમ ના કાઢ્યો? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, ધીરે-ધીરે નોટો પરથી પણ ગાંધીનો ફોટો ગાયબ થઇ જશે.
સ્વાભાવિક છે કે, તેમના આવા નિવેદનથી ભારે ખળભળાટ થયો હતો. જ્યારે વિવાદ બહુ વધી ગયો તો તેમણે પોતાનું નિવેદન પાછું લેતાં કહ્યું કે, મહાત્મા ગાંધી અંગેનો આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. મારા નિવેદનથી જો કોઇની લાગણી દુભાઇ હોય તો હું મારું નિવેદન પાછું લઉં છું.
ભાજપે પણ કહ્યું, કે આ તેમનો વ્યક્તિગત અભિપ્રાય છે
બીજી બાજુ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું કે, આ તેમનું વ્યક્તિગત નિવેદન છે, આ અંગે પાર્ટી કંઇ કહેવા માંગતી નથી. તો બીજી બાજુ પાર્ટીના પ્રવક્તા શ્રીકાંત શર્માએ કહ્યું કે, ભાજપ અનિલ વિજના નિવેદનની નિંદા કરે છે. આ તેમનું વ્યક્તિગત નિવેદન છે, પાર્ટીનું નહીં. મહાત્મા ગાંધી આપણા આદર્શ છે.
અનિલ વિજના નિવેદન પર પ્રતિક્રિયા આપતાં બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે કહ્યું કે, આ દેશના નાલાયક પુત્રો છે, આવું નિવેદન એ ખૂબ દુર્ભાગ્યની વાત છે. તો બીજી બાજુ કોંગ્રેસના નેતા રણદીપ સિંહ સરજેવાલે કહ્યું કે, આવા આપત્તિજનક અને અતર્કસંગત નિવેદનોની અપેક્ષા માત્ર ભાજપના નેતાઓ અને મંત્રીઓ પાસે જ કરી શકાય.