હિમાચલ પ્રદેશ: ભૂસ્ખલનને કારણે સર્જાયો ગંભીર બસ અકસ્માત
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં રવિવારે સવારે 9 વાગે એક મોટો પથ્થર ચાલતી બસ પર પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
હિમાચલ પ્રદેશના મંડી જિલ્લામાં ભૂસ્ખલન બાદ એક મોટો પથ્થર ચાલુ બસ પર પડતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી. આ દુર્ઘટનામાં 20થી 25 લોકો મર્યા હોવાની આશંકા છે. આ ઘટનાની સૂચના મળતાં જ રાહત સ્થળ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા, હાલ બચાવ કાર્ય ચાલુ છે. અત્યાર સુધીમાં 5 લોકોના શબ મળી આવ્યા છે. રવિવારે સવારે 9 વાગે આ દુર્ઘટના ઘટી હતી. મંડી જિલ્લાના ડિપ્ટી કમિશ્નર સંદીપ કદમે જણાવ્યું હતું કે, ભૂસ્ખલનને કારણે ત્રણ ગાડીઓ ખીણમાં પડી ગઇ હતી, જેમાં બે લોકોનું મૃત્યુ થયું હતું.
તેમણે આગળ જણાવ્યું હતું કે, ભૂસ્ખલનને કારણે બચાવ કાર્યમાં સમસ્યા ઊભી થઇ રહી છે. મંડી જિલ્લામાં સતત વરસતા વરસાદને કારણે ભૂસ્ખલનની ઘટનાઓ અવાર-નવાર ઘટતી રહે છે. હવામાનને કારણે સમગ્ર જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ભૂસ્ખલન થવાની શક્યતા હોય એવા ક્ષેત્રોથી દૂર રહેવાની લોકોને સલાહ આપવામાં આવી છે અને પહાડી વિસ્તારના રસ્તા પર વાહન ન મુકવાની પણ સલાહ આપવામાં આવી છે. ભૂસ્ખલનની આશંકાને પગલે સરકાર દ્વારા 1077 હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે.