UPમાં ભાજપની પ્રચંડ જીત અંગે શું કહ્યું ઇન્ટરનેશનલ મીડિયાએ?
ભારતના પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી પર જાણે આંતરરાષ્ટ્રીય મીડિયાની પણ નજર હતી. યુપીમાં ભાજપની જીતને આંતરરાષ્ટ્રીય મીડિયાએ કંઇક આ રીતે કવર કરી.
ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભાજપે પ્રંચડ જીત મેળવી છે, આ વિજય બાદ માત્ર ભારતીય મીડિયા જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય મીડિયામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સફળતાના ગુણગાન ગવાઇ રહ્યાં છે. આંતરરાષ્ટ્રીય મીડિયાનએ ભાજપની સફળતાનો શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને આપ્યો છે, તેમણે મોદીને આકર્ષક અને પ્રભાવશાળી વક્તા કહ્યાં છે. યુપીમાં ભાજપની પ્રચંડ સફળતા બાદ આંતરરાષ્ટ્રીય મીડિયાએ લખ્યું છે, ભારતીય રાજકારણમાં પીએમ મોદીનું સ્થાન વધુ મજૂબત બનશે, તેમની તાકાત વધશે અને વર્ષ 2019નો તેમનો રસ્તો સાફ અને સરળ બનશે.
લૉસ એન્જલસ ટાઇમ્સ
ભાજપે ખૂબ સરળતાથી યુપીની સૌથી શક્તિશાળી મનાતી પાર્ટીને બહારનો રસ્તો દેખાડ્યો છે. 8 નવેમ્બરના નોટબંધીના નિર્ણયની અસર સાફ દેખાય છે. યુપીમાં ભાજપનું આ પ્રદર્શન રાજ્યસભામાં પાર્ટીને વધુ મજબૂત બનાવશે. રાજ્યસભામાં પીએમ મોદીના ઘણા સુધારા અટકી પડતાં હતા, જેને કારણે દેશના ગરીબોને નુકસાન ભોગવવું પડતું હતું. ભાજપ ભારતના 29 રાજ્યોમાંથી 13 રાજ્યોમાં સત્તા પર આરૂઢ થઇ ચૂકી છે, પરંતુ તેમાં પણ સૌથી મોટું આશ્ચર્ય ઉત્તર પ્રદેશ છે, જ્યાં ભાજપને વર્ષ 1991 પછી ક્યારેય બહુમત પ્રાપ્ત નથી થયો.
ધ વૉશિંગ્ટન પોસ્ટ
ભાજપના વિજયની વખાણ કરતા વૉશિંગ્ટન પોસ્ટે લખ્યું, આ જીત ભારતમાં હિંદુ રાષ્ટ્રવાદી પાર્ટીની જીત છે. આ જીત સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઉત્સાહ વધશે, જેમણે યુપીમાં ભાજપના ઉમેદવારો માટે ખૂબ પ્રચાર કર્યો હતો. મોદીની પાર્ટીએ યુપીમાં ગઠબંધન અને જાતિગત સમીકરણોને પાછળ છોડવામાં સફળતા મેળવી છે. આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રણ વર્ષના કાર્યકાળનું રિફંડ માનવામાં આવે છે.
ધ ગાર્ડિયન
યુપીમાં ભાજપની પ્રચંડ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 86 ટકા નોટોને પ્રતિબંધિત કરવાના નિર્ણય પર જનતાના સ્વીકારનો થપ્પો લાગી ગયો છે. નોટબંધીનો નિર્ણય ખૂબ કષ્ટદાયક હતો, પરંતુ મોદીએ આ નિર્ણયને કાળા ધન વિરુદ્ધની લડાઇનું નામ આપ્યું, જેની અસર ગરીબો પર થઇ. ભાજપની રણનીતિ કામ આવી, આ રીતે જ ભાજપને પોતાના પરંપરાગત જાતિના મતદારો સિવાયના મતદાતાઓના પણ મત મળ્યા. ચૂંટણીના આ પરિણામોએ સ્પષ્ટ કર્યું છે કે, ત્રણ વર્ષના કાર્યકાળ પછી પણ પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત છે.
ધ ન્યૂયોર્ક ટાઇમ્સ
યુપીમાં ભાજપનો વિશાળ વિજય ખૂબ જ શાનદાર રહ્યો, જેની પાછળ પીએમ મોદીનો અત્યંત જોખમભર્યો નોટબંધીનો નિર્ણય જવાબદાર છે. આ નિર્ણય હેઠળ ભારતની મોટા ભાગની ચલણી નોટો પર પ્રતિબંધ મુકાવામાં આવ્યો હતો. આ ઐતિહાસિક જીતને વડાપ્રધાનને મળેલ જનતાના બહુમતના રૂપમાં જોવામાં આવે છે, યુપીમાં પીએમ મોદીએ ખૂબ પ્રચાર કર્યો હતો. યુપીની વસતી 20 કરોડથી વધુ છે, જે દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા છઠ્ઠા દેશ જેટલી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં રાજકારણીય સ્થિરતા લાવી રહ્યાં છે, તેઓ વિપક્ષના ભાગલા પાડી રહ્યાં છે અને સત્તા પોતાના હાથમાં લઇ રહ્યાં છે. આવામાં આર્થિક સુધારો પ્રાઇવેટ સેક્ટરના હાથમાંથી નીકળી રાજ્યના હાથમાં આવશે. આ પરિણામને જોતાં નોટબંધી જેવા વધુ નિર્ણયો લેવાય એવી સંભાવના છે.