"રામ જન્મ પર કોઇ સવાલ નથી કરતું, તો ટ્રિપલ તલાક પર કેમ?"
કપિલ સિબ્બલે ટ્રિપલ તલાકને મુસ્લિમોની આસ્થાનો મુદ્દો કહી તેની તુલના ભગવાન રામના જન્મ સાથે કરી દીધી છે.
"1400 વર્ષોથી ચાલી આવતી પરંપરા અચાનક ઇસ્લામ વિરોધી અને ગેર-બંધારણીય કઇ રીતે હોઇ શકે? ટ્રિપલ તલાક મામલે સમાનતા જેવી બાબત વચ્ચે લાવવાનો સવાલ જ ક્યાં છે, આ તો આસ્થાની વાત છે. આ મામલામાં કોર્ટે દખલઅંદાજી ન કરવી જોઇએ." આ વાક્યો છે, પૂર્વ કાયદાકીય મંત્રી અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના. તેમણે સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાકની સુનાવણી સમયે આ વાતો કહી છે.
કપિલ સિબ્બલની દલીલ
સુપ્રીમ કોર્ટમાં ટ્રિપલ તલાક અંગે ચાલી રહેલ સુનવણીમાં મંગળવારે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના વકીલ કપિલ સિબ્બલે કોર્ટ સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. તેમણે ટ્રિપલ તલાકને મુસ્લિમોની આસ્થાનો મુદ્દો કહેતાં તેની તુલના અયોધ્યામાં ભગવાન રામના જન્મ સાથે પણ કરી દીધી. તેમણે કહ્યું કે, ભગવાન રામનો જન્મ અયોધ્યામાં થયો હતો, એ હિંદુઓની આસ્થા છે જેની પર કોઇ સવાલ કરવામાં નથી આવતો, તો ત્રણ તલાક પર સવાલ શા માટે? સાથે જ તેમણે ટ્રિપલ તલાક અમાન્ય થતાં નવો કાયદો ઘડવાના કેન્દ્રના નિવેદન પર પણ સવાલો કર્યા હતા.
મહિલાઓના સમાનતાના અધિકારનું હનન
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે સોમવારે કોર્ટમાં કહ્યું હતું કે, જો સુપ્રીમ કોર્ટ ટ્રિપલ તલાકને અનૈતિક અને ગેર-કાયદેસર જાહેર કરે તો સરકાર મુસલમાનોના વિવાહ અને તલાક અંગે નવા કાયદાઓ ઘડશે. આ મામલે કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કરતાં એટૉર્ની જનરલ મુકુલ રોહતગીએ કોર્ટમાં કહ્યું હતું કે, ત્રણ તલાકથી મુસ્લિમ મહિલાઓના સમાનતાના અધિકારનું હનન થાય છે.
ન્યૂઝ એજન્સિ એએનઆઇ અનુસાર, સુપ્રીમ કોર્ટે ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડને પૂછ્યું હતું કે, ઇસ્લામમાં વોટ્સએપ પર આપવામાં આવેલ ઇ-ડિવોર્સની સ્થિતિ શું છે?
{promotion-urls}