લાલુ પ્રસાદ યાદવ પણ મુસીબતમાં, 22 સ્થળોએ ITની રેડ
બેનામી સંપત્તિના મામલે આરજેડી સુપ્રીમો લાલૂ યાદવની મુસીબતો વધી છે. લાલુ પ્રસાદ યાદવ સંબંધિત 22 ઠેકાણાએ આવકવેરા વિભાગે દરોડા માર્યા છે.
પી.ચિદમ્બરમ બાદ હવે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની મુસીબતો વધી છે. આવકવેરા વિભાગે બેનામી સંપત્તિના મામલે લાલુ પ્રસાદ યાદવ સંબંધિત 22 સ્થળોએ દરોડા પાડ્યા છે. દિલ્હી, ગુડગાંવ અને એનસીઆરમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ લાલુ પ્રસાદ યાદવ, તેમની પુત્રી મીસા ભારતી તથા તેમના બંન્ને પુત્રો તેજસ્વી અને તેજ પ્રતાપ પર 1000 કરોડ રૂપિયાની બેનામી સંપત્તિના ભ્રષ્ટાચારનો આરોપ મુક્યો હતો. લાલુ પ્રસાદ યાદવના બંન્ને પુત્રો બિહાર સરકારમાં મંત્રી પદ પર આરૂઢ છે. કેન્દ્રિય મંત્રી રવિ શંકર પ્રસાદે આરોપ મુક્યો હતો કે, લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભારતી ચૂંટણીના સોગંદનામામાં રજૂ કરેલ સંપત્તિનો હિસાબ નથી આપી શકી.
બિહારના પૂર્વ ઉપ-મુખ્યમંત્રી સુશીલ કુમાર મોદીએ મીસા ભારતી તથા તેમના પતિ પર આરોપ મુકતા કહ્યું હતું કે, ડિસેમ્બર 2002માં મિશેલ પેકર્સ એન્ડ પ્રિંચર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપની બનાવવામાં આવી હતી, જેમાં રજિસ્ટ્રેશનમાં લાલુ પ્રસાદ યાદવના સરકારી નિવાસસ્થાનનું સરનામું આપવામાં આવ્યું હતું. આ કંપની વર્ષ 2006માં બંધ થઇ ગઇ હતી, જે પછી તેના પ્લાન્ટ અને મશીન વેચી દેવામાં આવ્યા, પરંતુ થોડા વર્ષો બાદ બિજવાસનના 26 પાલમ ફાર્મ્સમાં એક ફાર્મહાઉસ 1.41 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યું હતું.
સુશીલ મોદીનું કહેવું છે કે, આમાં ચોંકાવનારી વાત એ છે કે આ ખરીદીમાં જે પૈસાનો ઉપયોગ થયો હતો, તે કંપનીના 1,20,000 શેર્સ વેચીને મેળવવામાં આવ્યા હતા. કંપનીના એક શેરની કિંમત 10 રૂ. હતી, પરંતુ આ બંન્નેએ(મીસા ભારતી અને તેમના પતિ) બે વેપારીઓ પાસેથી એક શેરના 90 રૂ. લીધા હતા. આ બંન્ને વેપારીઓની કાળા નાણાં મામલે ધરપકડ પણ થઇ ચૂકી છે. ભાજપનું કહેવું છે કે, મીસા ભારતીએ રાજ્યસભા સાંસદ તરીકે ઉમેદવારી નોંધાવતી વખતે પોતાની સંપત્તિની જાણકારી છુપાવી છે, જે કાયદાકીય આપરાધ છે.
{promotion-urls}