એલઓસી પર વધ્યો તણાવ, એલર્ટ પર ભારત-પાક. સેના
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણવાળી પરિસ્થિતિ સર્જાઇ છે, સીમા પર થતા સતત ગોળીબાર અને યુદ્ધવિરામના ભંગને કારણે બંન્ને દેશની સેનાઓ એલર્ટ પર હોવાની જાણકારી મળી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે તાણવાળી પરિસ્થિતિ સર્જાઇ છે, સીમા પર થતા સતત ગોળીબાર અને યુદ્ધવિરામના ભંગને કારણે બંન્ને દેશની સેનાઓ એલર્ટ પર હોવાની જાણકારી મળી છે. ભારત તરફથી સેનાની સાથે સાથે વાયુસેના પણ હાઇ-એલર્ટ પર છે. પાકિસ્તાની સેનાએ દાવો કર્યો હતો કે, પાકિસ્તાનના ફાઇટર જેટ્સે સિયાચિન ગ્લેશિયર-સલ્ટારો રિઝ ક્ષેત્રમાં ઉડાન ભરી છે, જો કે ભારતે પાક.ના આ દાવાનું ખંડન કર્યું છે.
ભારતીય વાયુસેનાના એક અધિકારીએ જણાવ્યું કે, પાકિસ્તાનનું કોઇ એરક્રાફ્ટ સિયાચિન કે અમારા કોઇ વિસ્તારમાં નથી આવ્યું. ભારતીય સેનાએ તમામ મુખ્ય ઉંચાઇઓવાળા સ્થળોએ પોતાનો કબજો જમાવી રાખ્યો છે. 16 હજાર ફૂટથી લઇને 22 હજાર ફૂટ સુધીની ઉંચાઇની પોસ્ટ પર, સલ્ટારો રિઝ ક્ષેત્રમાં ભારતીય સેનાનું નિયંત્રણ છે. સિયાચિન ગ્લેશિયરથી પાકિસ્તાની સેના ઘણી દૂર છે.
ટીઓઆઇના અહેવાલો અનુસાર, સેનાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે, 'ભલે પાકિસ્તાન તરફથી સતત યુદ્ધવિરામનું ઉલ્લંઘન થઇ રહ્યું હોય, ગોળીબાર કરવામાં આવી રહ્યો હોય, પરંતુ ભારતીય સેના પણ તેનો સણસણતો જવાબ આપી રહી છે. અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ નથી, પરંતુ કોઇ પણ પરિસ્થિતિ સામે લડવા માટે ભારતીય સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. પહાડો પર બરફ પીગળતાની સાથે જ પાકિસ્તાની સેના અને આઇએસઆઇ ઘુસણખોરીનો પ્રયાસ કરે છે, જેની સામે લડવા માટે ભારત તરફથી આંતક વિરોધી ઓપરેશન ચાલુ રહેશે.'