Video: માત્ર 60 જ સેકન્ડમાં ભારતે ઉડાવ્યા પાકિસ્તાનના બંકર
પાકિસ્તાનની કૃષ્ણા ઘાટીમાં બે જવાનોના શબ સાથે પાકિસ્તાને કરેલ બર્બરતાનો જવાબ ભારતે પણ એમની જ ભાષામાં આપ્યો છે.
થોડા દિવસ પહેલાં જમ્મુ-કાશ્મીર ની કૃષ્ણા ઘાટીમાં બે ભારતીય જવાનોના શબ સાથે પાકિસ્તાને કરેલ બર્બરતા બાદ ભારતીય સેના અધ્યક્ષ બિપિન રાવતે કહ્યું હતું કે, પાકિસ્તાનને ચોક્કસ જવાબ આપવામાં આવશે. જનરલ રાવતના નિવેદનના એક અઠવાડિયાની અંદર જ ભારતીય સેનાએ પાકિસ્તાનને સણસણતો જવાબ આપ્યો છે. ભારતીય સેનાએ એન્ટિ ગાઇડેડ મિસાઇલ દ્વારા પાકિસ્તાનના અનેક બંકર ઉડાવી દીધા છે.
બંકરોમાંથી ભારતીય સેના પર થતો ગોળીબાર
પાકિસ્તાની સેના ભારતીય સૈનિકો પર ગોળીબાર કરવા માટે આ બંકરોનો ઉપયોગ કરતી હતી. જે બંકરો ભારતીય સેનાએ ઉડાવ્યા છે, એ જ બંકરો દ્વારા ભારતમાં ઘૂસણખોરી કરતાં આતંકીઓને કવર ફાયરિંગ પણ આપવામાં આવતું હતું. પાકિસ્તાન માટે આ બંકરો ખૂબ ઉપયોગી અને મહત્વપૂર્ણ હતા. ભારતીય સેનાને આ બંકરો ઉડાવવામાં માત્ર 60 સેકંડનો સમય લાગ્યો હતો.
|
"પાક.ને તેમની જ ભાષામાં જવાબ આપો"
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરે છે. પહેલાં કુપવાડામાં આતંકી હુમલો, ત્યાર બાદ કૃષ્ણા ઘાટીમાં બે જવાનોના શબ સાથે બર્બરતા, આ ઘટનાઓ બાદ ભારતીય સેનાને પાકિસ્તાનને તેની જ ભાષામાં જવાબ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. શનિવારે જ ભારતીય સેનાએ કહ્યું હતું કે, તેઓ પોતે પસંદ કરેલ સમય અને જગ્યાએ પાકિસ્તાનને જવાબ આપશે.
કૃષ્ણા ઘાટીમાં ભારતીય જવાનો સાથે બર્બરતા
1 મેના રોજ પાકિસ્તાની સેનાએ જમ્મુ-કાશ્મીરની કૃષ્ણા ઘાટીમાં ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં બે બારતીય જવાનો શહીદ થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમે ભારતીય જવાનોના શબો સાથે બર્બરતાભર્યું વર્તન કરતાં તેમનું માથું ધડથી અલગ કરી લીધું હતું. આ ઘટના અંગે ભારતના ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ(ડીજીએમઓ)એ પાકિસ્તાનના ડીજીએમઓને ચેતવણી આપતા કહ્યું હતું કે, આ કામ કરીને માનવતાની તમામ સીમાઓ ઓળંગવામાં આવી છે, આનો જવાબ આપવામાં આવશે.
સેનાનું સૌથી મોટું સર્ચ ઓપરેશન
આ પહેલાં ગત ગુરૂવારે ભારતીય સેનાએ દક્ષિણ કાશ્મીરના શોપિયાંમાં પોતાનું સૌથી મોટું સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સેનાનું આ ઓપરેશન 90ના દશકા બાદ હાથ ધરવામાં આવેલું સૌથી મોટું સર્ચ ઓપરેશન હતું, જેમાં 3000 સેનાના તથા 1000 જવાન સીઆરપીએફ તથા જમ્મુ-કાશ્મીર પોલીસ અધિકારીઓએ કામગીરી બજાવી હતી. દક્ષિણ કાશ્મીરમાંથી આતંકવાદીઓને બહાર કાઢવા માટે આ ઓપરેશન હાથ ધરાયું હતું.
અહીં વાંચો -કાશ્મીરમાં શરૂ થયું સૌથી મોટું સર્ચ ઓપરેશન, જાણો કેમ?
{promotion-urls}