હાફિઝ સઇદને પકડવા માટે ભારતે પાકિસ્તાનને કરી માંગ
નવી દિલ્હી, 18 ડિસેમ્બર: પેશાવર હુમલાને લઇને ભારતની વિરુદ્ધ 26/11 મુંબઇ હુમલાના માસ્ટર માઇંડ હાફિઝ સઇદના નિવેદન પર મોદી સરકારે કડક વિરોધ વ્યક્ત કર્યો છે. સરકારે જણાવ્યું છે કે પાકિસ્તાન તાત્કાલિક ધોરણે હાફિઝ સઇદની ધરપકડ કરે અને દાઉદ ઇબ્રાહિમને પણ ભારતને સુપરત કરે.
અત્રે નોંધનીય છે કે બુધવારે લશ્કર એ તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે પેશાવરમાં થયેલા આતંકવાદી હુમલાને લઇને ભારત અને વડાપ્રધાન મોદી પર પ્રહાર કર્યા હતા. તેના જણાવ્યા પ્રમાણે આ ષડયંત્રની પાછળ ભારતનો હાથ છે. એટલું જ નહીં દુ:ખના આ સમયે પાકિસ્તાનને મદદનો હાથ વધારનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘડિયાળી મગરની જેમ આંસૂ સારનાર ગણાવ્યા.
ગુપ્તચર એજન્સીઓએ સરહદ પારથી આવેલા લગભગ સાડા ત્રણ સો ફોન કોલ ઇંટરસેપ્ટ કર્યા હતા. તેમાંથી એક અવાઝ હાફિઝ સઇદને મળતી આવતી હતી. પેશાવરમાં થયેલા હુમલા બાદ ગુપ્તચર એજન્સીઓએ એલર્ટ જારી કર્યું છે કે આતંકવાદી અમારા દેશમાં હુમલાને અંજામ આપી શકે છે.
અત્રે નોંધનીય છે કે ભારત સરકારે આ પહેલા ઘણી વખત હાફિઝ સઇદની ધરપકડની માંગણી કરતું રહ્યું છે પરંતુ પાકિસ્તાન હાફિઝ સઇદને એક સારો નાગરિક ગણાવીને તેની ધરપકડથી ઇનકાર કરતું આવ્યું છે.