મહારાષ્ટ્રઃ તબીબોની હડતાલ પર આખરે મુકાયું પૂર્ણવિરામ
મહારાષ્ટ્રમાં છેલ્લા 5 દિવસોની હડતાલ બાદ શુક્રવારના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ આંદોલન પર પૂર્ણવિરામ મુક્યું છે. તબીબો પર થઇ રહેલાં હુમલાને કારણે સોમવારથી તબીબોની હડતાલ ચાલી રહી હતી.
મહારાષ્ટ્ર માં છેલ્લા 5 દિવસોની હડતાલ બાદ શુક્રવારના રોજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ આંદોલન પર પૂર્ણવિરામ મુક્યું છે. તબીબો પર થઇ રહેલાં હુમલાને કારણે સોમવારથી તબીબોની હડતાલ ચાલી રહી હતી. લોકમાન્ય તિલક મ્યુનિસિપલ જનરલ હોસ્પિટલના તબીબો આજથી કામ પર પાછા ફર્યા છે. આ અંગે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની મહારાષ્ટ્ર શાખા દ્વારા શુક્રવારે સાંજે 4.30 વાગે ઘોષણા કરવામાં આવી હતી.
15 દિવસની અંદર ફરી થશે સુનવણી
ઉલ્લેખનીય છે કે, આ મામલે મુબંઇ હાઇકોર્ટે તબીબોને આજથી એટલે કે શુક્રવારથી પોતાના કામ પર પાછા ફરવાનો આદેશ આપ્યો છે. હાઇકોર્ટ દ્વારા સરકારને પણ કહેવામાં આવ્યું છે કે, તબીબોને ઉચિત સુરક્ષા આપવામાં આવે. જે તબીબો આ હડતાલમાં સહભાગી થયા હતા, તેમની વિરુદ્ધ કોઇ કાર્યવાહી ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. 15 દિવસની અંદર આ મામલે ફરીથી સુનવણી કરવામાં આવશે.
દેવેન્દ્ર ફડણવીસે તબીબોને કરી વિનંતી
બીજી બાજુ રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ તબીબો પર થઇ રહેલાં હુમલાની નિંદા કરતાં તેમને પોતાના કામ પર પાછા ફરવાની વિનંતી કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે હું તબીબોને હાથ જોડીને કહું છું કે, તેઓ પોતાના કામ પર પાછા ફરે. આ છેલ્લી વાર છે, ત્યાર બાદ કાર્યવાહી કરવામાં આવશે. જે લોકો દર્દીને મરવા માટે છોડી દે એમના માટે અમે દયા ન બતાવી શકીએ. તેમણે આગળ કહ્યું કે, જો તબીબો દર્દીને મરવા માટે છોડી દેતા હોય તો એ ખૂબ જ અસંવેદનશીલ કહેવાય. આના પરથી સાબિત થાય છે કે, તેઓ એ શપથ ભૂલી ગયા છે, જે તેમણે આ પવિત્ર વ્યવસાયમાં આવતા પહેલાં લીધી હતી.
શા માટે કરી હડતાલ?
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના લગભગ 4500 તબીબો આ અઠવાડિયા દરમિયાન હડતાલ પર હતા. દર્દીના સગા-સંબંધીઓ દ્વારા અવાર-નવાર થતી મારપીટના વિરોધમાં તેઓ હડતાલ પર ઉતર્યા હતા. હડતાલ બાદ દેવેન્દ્ર ફડણવીસે બેઠક યોજી હોસ્પિટલમા તબીબોને સલામતી આપવાના મુદ્દે સરકાર અને તબીબોના પ્રતિનિધિઓની સર્વોચ્ચ પરિષદની રચના કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. તબીબોએ પ્રશાસન તરફથી સૂચવવામાં આવેલા તમામ ઉકેલોની રજૂઆત લેખિતમાં માંગી હતી તથા આંદોલન ચાલુ રાખ્યું હતું.
અન્ય રાજ્યોના તબીબોનો પણ સાથ
હડતાલ પર ઉતરેલા તબીબોનો સાથ આપવા માટે દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને અન્ય રાજ્યોમાં પણ સુરક્ષાની માંગણી કરવામાં આવી હતી. એટલું જ નહીં, દિલ્હી ખાતેના એમ્સમાં તબીબોએ હેલમેટ પહેરી ઇલાજ કર્યો હતો.
અહીં વાંચો