જમ્મુ કાશ્મીરઃ ઘૂસરણખોરીના પ્રયત્નો નિષ્ફળ, 6 આતંકી ઠાર
સીમા પર ભારતીય સેના બહાદુરી સાથે પાકિસ્તાનના દરેક કાયર કૃત્યનો સણસણતો જવાબ આપી રહી છે.
સરહદ પર પાડોશી દેશ પાકિસ્તાનના કાયર કૃત્યો હજુ ચાલુ જ છે. શનિવારે જમ્મુ કાશ્મીરના રામપુર સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફરી ઘુસણખોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, ભારતીય સેનાએ ઘૂસણખોરીના આ પ્રયાસને નિષ્ફળ બનાવીને 6 આતંકીઓને ઠાર માર્યા હતા. સેના દ્વારા આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હજુ પણ ચાલુ છે.
ત્રણ આતંકીઓ સેનાના ઘેરામાં ફસાયેલા હોવાની માહિતી મળી હતી. આતંકવાદીઓએ અચાનક હુમલો કરતા તરત જ સેનાના પેટ્રોલિંગ દળે મોરચો સંભાળી લીધો હતો. ભારતીય સેનાએ વળતો જવાબ આપતાં આતંકીઓને પાછળ હઠવાની ફરજ પડી હતી. મળતી માહિતી અનુસાર સેનાના જવાનો દ્વારા ત્રણ આતંકીઓને ઘેરી લેવામાં આવ્યા હતા, કાઉન્ટર ઓપરેશન ચાલુ છે. આ પહેલાં જમ્મુ-કશ્મીરના પુલવામામાં આતંકવાદીઓએ સેનાના પેટ્રોલિંગ દળ પર હુમલો કર્યો હતો.
શુક્રવારે જમ્મુ કાશ્મીરના ઉરી સેક્ટરમાં ફરી એક વખત પાકિસ્તાન સેનાની બોર્ડર એક્શન ટીમ (BAT) દ્વારા ભારતીય સૈનિકોના માથા વાઢવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે, સેનાએ તેમના આ હુમલાને નિષ્ફળ બનાવી બે આતંકીઓને ઠાર માર્યા હતા. 1 મેના રોજ જમ્મુ કાશ્મીરમાં બેટ દ્વારા જ બે ભારતીય જવાનોના માથા વાઢવામાં આવ્યા હતા.