IPL કેસ: શ્રીનિવાસનને ક્લિન ચિટ, મયપ્પન મુસીબતમાં
નવી દિલ્હી, 17 નવેમ્બર: IPL ફિક્સિંગ કેસની તપાસ કરી રહેલી મુદગલ તપાસ કમિટીએ પોતાના રિપોર્ટમાં બીસીસીઆઇના પૂર્વ અધ્યક્ષ એન.શ્રીનિવાસને ક્લિન ચીટ આપી દિધી છે. જ્યારે શ્રીનિવાસનના જમાઇ ગુરૂનાથ મયપ્પન અને રાજસ્થાન રોયલ્સના સહ-માલિક રાજ કુંદ્રાને સટ્ટેબાજીમાં સંલિપ્ત જોવા મળી આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મયપ્પન સ્પૉટ ફિક્સિંગમાં સામેલ નથી જ્યારે તે સટ્ટેબાજીમાં સામેલ હતા. મુદગલ તપાસ સમિતિએ પોતાનો રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો છે. રિપોર્ટ અનુસાર સુંદર રમણ પણ સટ્ટેબાજોના સંપર્કમાં હતા.
સુપ્રીમ કોર્ટમાં દાખલ મુદગલ સમિતિના તપાસ રિપોર્ટમાં ગુરૂનાથ મયપ્પન, રાજ કુંદ્રા, સ્ટુઅર્ટ બિન્ની, સુંદર રમણ અને એન શ્રીનિવાસનના નામ સામે આવ્યા છે. તેમની ભૂમિકાને લઇને કોર્ટમાં ચરચા થઇ નથી પરંતુ પૂર્વ જસ્ટિસ મુકુલ મુદગલ કમિટિના રિપોર્ટમાં પહેલાં સીલબંધ કવર ખોલ્યા બાદ તેમના નામ સામે આવ્યા છે. આ કેસની સુનાવણી 24 નવેમ્બરના રોજ થવાની છે.
સુંદર રમણ આઇપીએલના પૂર્વ સીઇઓ છે, જ્યારે રાજ કુંદ્રા રાજસ્થાન રોયલ્સના માલિકોમાંથી એક છે, શ્રીનિવાસન બીસીસીઆઇના પૂર્વ પ્રમુખ અને ગુરૂનાથ મયપ્પન તેમના જમાઇ છે. જો કે પાંચ મોટા નામો ઉપરાંત અન્ય ખેલાડીઓના નામ ફિક્સિંગ સાથે જોડાયેલા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જો કે અત્યારે બધા નામોને સાર્વજનિક કરવામાં આવ્યા છે.
કેસની તપાસ કરી રહેલી પૂર્વ ન્યાયાધીશ મુકુલ મુગદલની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની સમિતિએ ગત ત્રણ નવેમ્બરના રોજ સુપ્રીમ કોર્ટમાં સીલબંધ કવરમાં અંતિમ રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ દરમિયાન બીસીસીઆઇની ચૂંટણી મુલત્વી થઇ ગઇ છે. બીસીસીઆઇ 20 નવેમ્બરના રોજ થનાર એજીએમ ચાર અઠવાડિયા માટે સ્થગિત કરી દિધી છે. આ એજીએમમાં નવા બીસીસીઆઇ પ્રમુખની ચૂંટણી થવાની હતી.