ઇ.અહમદના નિધન બાદ બજેટ પર કેમ થયો વિવાદ?
ભારતીય યૂનિયન મુસ્લિમ લીગના અધ્યક્ષ અને પૂર્વ મંત્રી ઇ.અહમદનું મોડી રાત્રે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં નિધન થયું હતું.
પૂર્વ મંત્રી અને સાંસદ ઇ.અહમદનું 31 જાન્યુઆરી, મંગળવારના રોજ નિધન થયું હતું. મંગળવારે મોડી રાત્રે તેમણે દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ 78 વર્ષનાં હતા. મંગળવારે સંસદમાં રાષ્ટ્રપતિના અભિભાષણ દરમિયાન જ તેમને હૃદયરોગનો હુમલો થતાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડી રાત્રે લગભગ 12.30 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગંધી અને રાહુલ ગાંધી પણ તેમની ખબર જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા, પરંતુ તેઓ ઇ.અહમદને મળી નહોતા શક્યા.
કોણ હતા ઇ.અહમદ?
ઇ.અહમદ કેરળના સાંસદ હતા. યૂપીએ સરકારના કાર્યકાળ દરમિયાન તેઓ વિદેશમંત્રી રહી ચૂક્યા હતા. 78 વર્ષના ઇ.અહમદ ઇન્ડિયન યૂનિયન મુસ્લિમ લીગના નેશનલ પ્રેસિડન્ટ હતા. તેઓ સતત 5 લોકસભાના સભ્ય રહી ચૂક્યા છે. વર્ષ 2004થી 2009 સુધી તેઓ યૂપીએ સરકારમાં વિદેશ રાજ્યમંત્રી રહી ચૂક્યા હતા, વર્ષ 2009 થી 2011 દરમિયાન તેમણે રેલવે રાજ્યમંત્રી તરીકે પણ કામગીરી બજાવી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત વકીલ તરીકે કરી હતી અને ત્યાર બાદ રાજકારણમાં આવ્યા હતા, ત્યાર પછી તેમણે ક્યારેય પાછું વળીને નથી જોયું.
અહીં વાંચો - બજેટ 2017: શિક્ષણ ક્ષેત્રને બજેટથી શું અપેક્ષા છે?
બજેટ અંગે અસમંજસ
ભૂતપૂર્વ કેન્દ્રિય મંત્રી ઇ.અહમદના નિધનને કારણે જનરલ બજેટ રજૂ થવા અંગે અનેક આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી. પરંપરા પ્રમાણે કોઇ પણ સાંસદનું નિધન થતાં સંસદ માં શોક સંદેશ મોકલી એક દિવસ માટે સદન સ્થગિત કરવામાં આવે છે. કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ બજેટને એક દિવસ સ્થગિત કરવાની માંગણી કરી હતી. જો કે, આ અંગેનો અંતિમ નિર્ણય લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનના હાથમાં હતો.
આજે જ રજુ થઇ રહ્યું છે બજેટ
અનેક આશંકાઓ છતાં કહેવાઇ રહ્યું હતું કે, બજેટ સ્થગિત કરવામાં નહીં આવે અને એ વાત સાચી ઠરી છે. દેશનું કેન્દ્રિય બજેટ 1 ફેબ્રુઆરી, બુધવારના રોજ જ રજૂ થઇ રહ્યું છે. આ માટે વર્ષ 1954 થા વર્ષ 1974નું ઉદાહરણ આપવામાં આવી રહ્યું છે. આ બંન્ને વર્ષે રેલ બજેટ દરમિયાન એક-એક સાંસદનું નિધન થયું હતું, આમ છતાં પણ રેલવે બજેટ તેના નિશ્ચિત સમયે રજૂ કરવામાં આવ્યું હતું. જો કે, ત્યારે બજેટ સાંજે 5 કલાકે રજૂ કરવામાં આવતું હતું, આથી અન્ય સાંસદો સવારે શ્રદ્ધાંજલિ આપી સાંજે સંસદમાં હાજર થઇ જતા હતા. પરંતુ હવે બજેટ સવારે 11 વાગે રજૂ કરવામાં આવે છે.