જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસ દુર્ઘટનાઃ 32ની મોત, 50 ઘાયલ
ફરી એકવાર થયેલી રેલ દુર્ઘટનાએ રેલવે મંત્રાલયની વ્યવસ્થાઓ પર મોટો સવાલ ઊભો કર્યો છે, છેલ્લા થોડા સમયમાં આ ચોથી મોટી રેલ દુર્ઘટના છે.
ફરી એકવાર રેલવેની યાત્રા નાગરિકોના જીવનની અંતિમ યાત્રા સાબિત થઇ છે. આંધ્રપ્રદેશના વિજયનગરમ જિલ્લાના કુનેરુ સ્ટેશન પાસે જગદલપુર-ભુવનેશ્વર હીરાખંડ એક્સપ્રેસ દુર્ઘટનાગ્રસ્ત થઇ છે. શનિવારે મોડી રાતે આ ટ્રેનના એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
આ દુર્ઘટનામાં 32 જેટલા લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે 50 જેટલા લોકો ઘાયલ થયા છે. જેમની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. એક ફરી થયેલી રેલ દુર્ઘટનાએ રેલવે મંત્રાલયની વ્યવસ્થાઓ પર મોટો સવાલ ઊભો કર્યો છે, છેલ્લા થોડા સમયમાં આ ચોથી મોટી રેલ દુર્ઘટના છે.
એન્જિન સહિત 7 ડબ્બા પાટા પરથી ખડી પડ્યા
ઉપલબ્ધ માહિતી અનુસાર, આ ટ્રેન શનિવારે બપોરે જગદલપુરથી ભુવનેશ્વર જવા નીકળી હતી અને મોડી રાતે આશરે 11.30 વાગ્યે ઓડિસાના રાયગઢથી લગભગ 35 કિલોમીટર દૂર આવેલા વિજયનગરમના કુનેરુ સ્ટેશન પાસે દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. એન્જિન અને લગેજ વેન સહિત 7 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં મોટી દુર્ઘટના સર્જાઇ હતી.
અહીં વાંચો - કાનપુર રેલ દુર્ઘટના, મૃતકોની સંખ્યા 133 પર પહોંચી, 200 થી વધુ ઘાયલ
મૃતકોના પરિવારજનોને 2 લાખનું વળતર
રેલવે મંત્રાલયના જણાવ્યા અનુસાર ઘટનાની જાણકારી સાથે જ રેલવેની રિલિફ ટ્રેન ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને તુરંત જ બચાવ કાર્ય શરૂ થયું હતું. રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. સાથે જ ઇજાગ્રસ્તો માટે 25 હજાર અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 50 હજારની રકમ આપવાની ઘોષણા કરી છે.
Hirakhand express derailment:Railway Min Suresh Prabhu announces Rs 2 lakh for kin of deceased ppl,25K for injured,50K for seriously injured
— ANI (@ANI_news) January 22, 2017
નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પ્રત્યે ઊંડુ દુઃખ વ્યક્ત કર્યું છે. કેન્દ્રિય મંત્રી પિયૂષ ગોયલે પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરતાં કહ્યું છે કે, આ મામલાની ઊંડી તપાસ કરવામાં આવશે, જેમાં તમામ તથ્યો સામે આવશે.
My thoughts are with those who lost their loved ones due to the derailment of Jagdalpur-Bhubaneswar Express. The tragedy is saddening: PM
— PMO India (@PMOIndia) January 22, 2017