'જગ્ગા જાસૂસ'ની અભિનેત્રીએ કરી આત્મહત્યા, પતિની ધરપકડ
ફિલ્મ 'જગ્ગા જાસૂસ'માં જોવા મળેલ અભિનેત્રી બિદિશાએ સોમવારે આત્મહત્યા કરી હતી.
હરિયાણાના ગુરૂગ્રામ રહેતી અને મૂળ આસામની નિવાસી એવી અભિનેત્રી બિદિશા બેઝબારુઆહનું શબ સોમવારે સંદિગ્ધ હાલતમાં મળી આવ્યું હતું. ઘટનાની જાણકારી મળતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી શબને કબજામાં લીધું અને અને પંચનામા બાદ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું હતું. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે. આ અભિનેત્રી બિદિશા છેલ્લે ફિલ્મ 'જગ્ગા જાસૂસ'માં જોવા મળી હતી. બિદિશાના પિતાના નિવેદન બાદ મંગળવારે તેના પતિ નિશિત ઝા વિરુદ્ધ આત્મહત્યા માટે પ્રેરિત કરવાનો ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી.
બિદિશા ગુરુગ્રામના સુશાંતલોક, બ્લોક-બીમાં રહેતી હતી. બિદિશાના પતિ નિશિત એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે કામ કરતા હતા. ઉપલબ્ધ જાણકારી અનુસાર, બિદિશા બે દિવસ પહેલાં જ પતિ નિશિત સાથે આ ભાડાના ફ્લેટમાં શિફ્ટ થઇ હતી. હવે પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે, માત્ર બે જ દિવસની અંદર આ દંપતિ વચ્ચે એવું તો શું થયું કે, બિદિશાએ આત્મહત્યા જેવું પગલું ભર્યું. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઇ રહી છે. પોલીસે જણાવ્યું હતું કે, તેમને બિદિશાનું શબ ઘરની છત સાથે લટકેલુ મળ્યું હતું.
પોલીસે આગળ જાણકારી આપતાં કહ્યું કે, બિદિશાના પિતાને કંઇક ખોટુ થયું હોવાનો અણસાર આવી ગયો હતો, કારણ કે, બિદિશા સોમવારથી પોતાનો ફોન રિસિવ નહોતી કરી રહી. આથી તેમણે પોલીસને જાણકારી અપી, બિદિશાનું સરનામું જણાવ્યું હતું. હાલ બિદિશાના મોબાઇલ ફોન, ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ સાઇટની પણ તપાસ કરવામાં આવી રહી છે.
બિદિશા માત્ર અભિનેત્રી જ નહીં, ગાયિકા પણ હતી. તેણે લગભગ એક વર્ષ પહેલાં ગુજરાતના નિશિત ઝા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 14 મહિના બાદ જ તેણે પોતાના માતા-પિતાને જણાવ્યું હતું કે, તે નિશિતથી છૂટી થવા માંગે છે. તે ઘણીવાર તેના સાસરિયા તરફથી હેરાનગતિની ફરિયાદ કરી ચૂકી હતી.