J&K: સેના, CRPF પર પથ્થર ફેંકવા માટે યુવાઓને મળે છે પગાર
એક ન્યૂઝ ચેનલના સ્ટિંગમાં થયેલા ખુલાસા અનુસાર કાશ્મીર ઘાટીના યુવાઓને પથ્થરમારા માટે તેમને પૈસા આપવામાં આવે છે.
થોડા દિવસ પહેલાં કાશ્મીર ના બડગામ જિલ્લામાં આતંકવાદીઓ નું એન્કાઉન્ટર ચાલી રહ્યું હતું, ત્યારે સ્થાનિક લોકો દ્વારા સુરક્ષા દળો પર પથ્થર ફેંકવામાં આવી રહ્યાં હતા. આ એન્કાઉન્ટરમાં એક આતંકીને ઠાર મારવામાં આવ્યો હતો, પરંતુ આ પથ્થરમારામાં 40થી વધુ સીઆરપીએફ જવાન ઘાયલ થયા હતા. પરંતુ લોકોને એ નથી ખબર કે આ પથ્થરમારા માટે યુવાઓને સારી એવી રકમ ચૂકવવામાં આવે છે.
5થી 7 હજાર રૂપિયા પગાર
કાશ્મીરમાં ગત વર્ષે જુલાઇમાં હિજબુલ મુજાહિદ્દીન કમાન્ડર બુરહાન વાની ઠાર મરાયો હતો, ત્યારે આ પથ્થરમારાનો ટ્રેન્ડ નીકળ્યો હતો. એક ન્યૂઝ ચેનલના સ્ટિંગમાં બહાર આવેલી જાણકારી મુજબ પથ્થરમારા માટે યુવાઓને 5થી 7 હજાર રૂપિયા ચૂકવવામાં આવે છે. આ પથ્થરબાજોને તેમના અંડરગ્રાઉન્ડ થયેલા આકાઓ તરફથી સુરક્ષા દળો, સરકારી અધિકારીઓ તથા તેમની સંપત્તિને નુકસાન પહોંચાડવા બદલ પગાર ચૂકવવામાં આવે છે.
યુવાઓએ કર્યાં ચોંકાવનારા ખુલાસા
ન્યૂઝ ચેનલના આ સ્ટિંગમાં કેટલાક યુવાઓ સાથે વાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે, કઇ રીતે તેમને આ માટે પગાર ચૂકવવામાં આવે છે. આ સ્ટિંગમાં જે યુવાઓ સામે આવ્યા તેમનાં નામ છે અહમદ ભટ, ફારુખ અહમદ લોન, વસીમ અહમદ ખાન, મુશ્તાક વીરી અને ઇબ્રાહિમ ખાન; આ સૌએ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. જાકિર અહમદ ભટ અનુસાર દર મહિને તેમને સુરક્ષા દળો પર પથ્થરમારો કરવા માટે 5થી 7 હજાર રૂપિયા, કપડા અને ક્યારેક ક્યારેક જૂતા પણ આપવામાં આવે છે.
અહીં વાંચો - J&K: પથ્થરમારામાં 60 જવાનો ઘાયલ, આજે રેલ સેવા બંધ
શુક્રવારે થશે પથ્થરમારો
આ યુવાન ભટને કોકટેલ કે પેટ્રોલ બોમ્બ બનાવવામાં પણ મહારત હાંસલ છે. તેણે કેમેરા સામે કબૂલ કર્યું હતું કે, તેને આ વાતનો કોઇ અફસોસ નથી. સેના, સીઆરપીએફ તથા જમ્મુ-કાશ્મીર પોલીસ પર હુમલો કરવા માટે તેને વિદેશીઓ તરફથી પૈસા મળે છે. તેણે કહ્યું, 'અમે સુરક્ષા દળો, સેનાના જવાનો અને જમ્મુ-કાશ્મીર પોલીસના જવાનો સિવાય ધારાસભ્યો તથા સરકારી ગાડીઓ પર હુમલો કરીએ છીએ.' જો કે, જે લોકો આ યુવાનોને પૈસા આપે છે, એમના વિશે કંઇ પણ કહેવાની તેણે ના પાડી દીધી હતી. તેણે કહ્યું કે, તે મરી જશે પરંતુ તેમના નામ જાહેર નહીં કરે. ભટે બારામૂલા, સોપોર અને પટ્ટનમાં સુરક્ષા દળો પર પથ્થરમારો કર્યો હોવાની વાત કબૂલી હતી. તેણે કહ્યું કે, હવે તે પોતાના સાથીઓ સાથે બારામૂલા જશે અને શુક્રવારે ત્યાં વિરોધ પ્રદર્શન કરશે.