બાંદીપોરાઃ CRPF કેમ્પ પર આતંકી હુમલો, 4 આતંકી ઠાર
સોમવારે વહેલી સવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં CRPFના કેમ્પ પર આતંકી હુમલો થયો હતો. ભારતીય સેનાએ જવાબી કાર્યવાહીમાં 4 આતંકીઓને ઠાર માર્યા હતા.
જમ્મુ-કાશ્મીરના બાંદીપોરા જિલ્લામાં સીઆરપીએફની 45મી બટાલિયનના કેમ્પ પર આતંકી હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, આ હુમલામાં કોઇ ભારતીયને નુકસાન નથી પહોંચ્યું. સેનાએ આખા વિસ્તારને સીલ કરી સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.
સૂત્રો અનુસાર, આતંકવાદીઓએ સોમવારે વહેલી સવારે સીઆરપીએફની 45મી બટાલિયનના કેમ્પ પર ગોળીબાર કર્યો હતો. સીઆરપીએફ જવાનોએ સામો જવાબ આપતાં 4 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, તમામ આતંકીઓ ઠાર મરાયા છે કે નહીં.
#UPDATE: Four terrorists killed as they attack 45 Bn CRPF camp at Sumbal in Bandipora district of J&K
— ANI (@ANI_news) June 5, 2017
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં 3 જૂન, 2017ના રોજ ભારતીય સેનાના કાફલા પર હુમલો થયો હતો. જમ્મુથી શ્રીનગર તરફ જઇ રહેલ સેનાના કાફલા પર જમ્મુ-શ્રીનગર હાઇવે પર કાજીગુંડ પાસે આતંકવાદીઓએ સેના પર ગોળીબાર કર્યો હતો. આ આતંકી હુમલામાં બે જવાન શહીદ થયા હતા અને 4 જવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.