જશોદાબેને કહી 'મનની વાત', 'હું તેમની સાથે રહેવા તૈયાર છું
મુંબઇ, 21 નવેમ્બર: લોકસભા ચૂંટણી 2014 માટે પોતાના ઉમેદવારી પત્રમાં પહેલીવાર નરેન્દ્ર મોદીએ પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખ્યું હતું. ત્યાં સુધી નરેન્દ્ર મોદીએ ક્યાંય પણ પત્ની જશોદાબેનનો ઉલ્લેખ કર્યો ન્હોતો. જોકે લાંબા સમય બાદ જશોદાબેને પોતાનું મૌન તોડ્યું છે અને એવું જણાવ્યું કે તેઓ મોદી સાથે રહેવા માટે તૈયાર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પત્ની જશોદાબેને પોતાના પતિ નરેન્દ્ર મોદી સાથે રહેવા વિશે પોતાના 'મનની વાત' કહી છે. જશોદાબેને જણાવ્યું છે કે જો 'મોદી રાજી હોય તો પોતે એમની સાથે રહેવા તૈયાર છે.'
મોદીએ આ વર્ષના પ્રારંભમાં વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવારી પત્ર ભરતી વખતે પહેલી વાર કબૂલ કર્યું હતું કે જશોદાબેન તેમના પત્ની છે. જેથી વડાપ્રધાનના પત્ની હોવાની રૂએ જશોદાબેનને સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)નું સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવ્યું છે. આ સુરક્ષા વડા પ્રધાન અને તેમના પરિવારના સૌથી નિકટના સભ્યોને આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે મોદીએ જશોદાબેન સાથે 1968માં, જ્યારે તેઓ સગીર વયના હતા ત્યારે લગ્ન કર્યા હતા. જશોદાબેન શાળાના નિવૃત્ત શિક્ષિકા છે અને ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના ઈશ્વરવાડા ગામમાં તેમના બે ભાઈ સાથે શાંતિનું જીવન ગાળે છે.