જીઆ ખાન આત્મહત્યા કેસ : સૂરજ પંચોલીની ધરપકડ
પોલીસ હવે સૂરજને મંગળવારે એક મેટ્રોપોલિટન કોર્ટમાં હાજર કરશે અને કેસમાં તપાસ કરવા માટે સૂરજને કસ્ટડીમાં રીમાન્ડ પર લેવાની માગણી કરશે.
જિયા ખાને આત્મહત્યા કરતાં પહેલાં જે 6 પાનાનો છેલ્લો પત્ર લખ્યો હતો તે એનાં બેડરૂમમાંથી મળી આવ્યા બાદ પોલીસે સૂરજને પૂછપરછ માટે બોલાવ્યો હતો. તે પત્રમાં જિયાએ સૂરજ સાથે તેનાં બગડેલા પ્રેમસંબંધનો ઉલ્લેખ કર્યો છે.જિયા ખાનના ઘરેથી એક છ પાનાની નોટ મળી છે કે જેમાં લખેલ એક-એક શબ્દથી જાહેર થાય છે કે જિયાને જેટલો પોતાના કૅરિયર બગડવાનો આઘાત નહોતા, તેનાં કરતા વધુ દર્દ તેમને પ્રેમમાં મળેલ દગાનો હતો.
સુસાઇડ નોટના જણાવ્યા મુજબ જિયા ખાન કોઈના પ્રેમમાં કેદ હતાં. જિયા તે વ્યક્તિ સાથે બેહદ મહોબ્બત કરતા હતાં. જિયાએ પોતાના પ્રેમી માટે પોતાનું બધું ન્યોછાવર કરી દીધુ હતું. નોટ મુજબ તો જિયા તેના બાળકના માતા સુદ્ધા બનનાર હતાં, પરંતુ પોતાના પ્રેમીના કહેવા પર તેમણે ગર્ભપાત પણ કરાવી લીધુ હતું કે જેનાથી જિયાનું આત્મસન્માન ઘવાયુ હતું અને આત્મવિશ્વાસ ભાંગ્યુ હતું. જોકે સુસાઇડ નોટમાં ક્યાંય પણ પ્રેમીનું નામ નથી લખ્યું, પણ જોવા જઇએ તો જિયાના પ્રેમી તરીકે અભિનેતા આદિત્ય પંચોલીના પુત્ર સૂરજ પંચોલી જ નજરે પડે છે.
જિયાના ઘરના સભ્યોને આ સુસાઇડ નોટ ઘરની સાફ-સફાઈ દરમિયાન મળીહતી. તેમણે આ નોટ પોલીસને સોંપી દીધી છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સુસાઇડ નોટમાં રાઇટિંગ જિયાની છે કે કેમ? જોકે જિયાના અંતિમ સંસ્કાર બાદ તેમના માતા રાબિયા ખાને સૂરજ પંચોલી સામે આરોપ મૂક્યો હતો કે તેણે મારા પુત્રી સાથે દગો કર્યો. મારી પુત્રી માસૂમ હતી. સૂરજે તેનો ભરોસો તોડ્યો.
નોંધનીય છે કે જિયા ખાન આત્મહત્યા કેસમાં સૂરજ પંચોલીની પૂછપરછ પણ થઈ ચુકી છે. જિયા ખાને ગત 3જી જૂનના રોજ આત્મહત્યા કરી લીધી હતી. પહેલા તો એમ કહેવાયું કે જિયા ખાન પોતાના કૅરિયર અંગે ડિપ્રેશનમાંહતાં, પરંતુ પછીથી જિયાના પ્રેમ સંબંધોની વાતો સામે આવી હતી અને હવે સુસાઇડ નોટ ઉપરથી ઘણું બધું સ્પષ્ટ થતું જાય છે.