દેશમાં નિર્ભયાના દોષીઓને નહીં થાય ફાંસી?
નવી દિલ્હી: દેશનું લો કમિશન એટલે કે વિધી આયોગ કહે છે કે દેશમાં મોતની સજાના પ્રાવધાનને નાબુદ કરવું જોઈએ અને તે માટે સાચી દિશામાં પગલા ભરવા પડશે. કમીશનનું મંતવ્ય છે કે દેશમાં મોતની સજા માત્ર આતંકવાદ અને રાષ્ટ્રદ્રોહ જેવા મામલાઓમાં જ હોવી જોઈએ.
કમિશનના અધ્યક્ષ જસ્ટીસ એ.પી.શાહનું માનીએ તો કમિશનના નવમાંથી છ સભ્ય ફાંસીની સજાને નાબૂદ કરવાના પક્ષમાં છે. શાહે વધુમાં માહિતી આપી હતી કે જે લોકો અસહમત છે તેઓ સરકારના પ્રતિનિધિ છે.
રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આંખના બદલામાં આંખનો સિદ્ધાંત આપણાં સંવિધાનની ભાવનાની વિરૂદ્ધમાં છે. બદલાની ભાવનાથી ન્યાયિક તંત્ર ન ચાલી શકે. રીપોર્ટનો મુદ્દો એ છે કે ભારતમાં ફાંસીની સજા હોવી જોઈએ કે નહીં.
રીપોર્ટની એક કોપી કાયદા મંત્રીને સોંપવામાં આવશે, કારણ કે પેનલના પ્રાવધાનોમાં કોઈ પણ બદલાવની માંગ અંગે સંસદ જ વિચાર વિમર્શ કરશે. મહત્વપૂર્ણ છે કે મુંબઈ હુમલાના દોષિત યાકુબ મેમણને ફાંસી આપ્યા બાદ આ મામલા અંગે ચર્ચા શરૂ થઈ હતી.
આયોગે આ રીપોર્ટને પૂરો કરવા માટે સમયથી વધુ કાર્ય કર્યું છે. કારણ કે તેનો ત્રણ વર્ષનો કાર્યકાળ 31 ઓગસ્ટના રોજ સમાપ્ત થઈ ગયો છે.
સુપ્રીમ કોર્ટે સંતોષ કુમાર, સતીષ ભૂષણ બારિયાર વિરૂદ્ધ મહારાષ્ટ્ર અને શંકર કિશનરાવ ખાડે વિરૂદ્ધ મહારાષ્ટ્રના મામલામાં કહ્યું હતુ કે વિધી આયોગે મોતની સજા સાથે જોડાયેલા વિવિધ મંતવ્ય અને પાસાઓ અંગે અધ્યયન કરવું જોઈએ.
મહત્વની વાત એ છે કે દેશમાં વધી રહેલા બળાત્કારના કેસીસમાં મોતની સજાની માંગ કરવામાં આવી રહી છે. જો કમિશનના રીપોર્ટને માની લેવામાં આવશે તો બળાત્કાર જેવા જઘન્ય અપરાધના કેસીસમાં દોષીઓને મોતની સજા ક્યારેય નહીં મળે.