11 કલાક ચાલ્યું લખનઉ એન્કાઉન્ટર, ISIS આંતકી સૈફુલ્લાહ ઠાર
એટીએસના 20 કમાન્ડો સર્ચ ઓપરેશનમાં લાગેલા હતા. ઠાર મરાયેલા આંતકીઓ આઇએસઆઇએસ ના ખુરાસામ મૉડ્યૂલ સાથે જોડાયેલા હોવાનું મનાય છે.
ઉત્તર પ્રદેશ ના લખનઉ માં આતંકવાદી ઓ વિરુદ્ધ કરવામાં આવેલું ઓપરેશન આખરે પૂરું થયું છે. આઇએસઆઇએસ નો આતંકવાદી સૈફુલ્લાહ ઠાર મરાયો છે. એડીજી લૉ એન્ડ ઓર્ડર દલજીત ચૌધરીએ આ વાતની પુષ્ટિ કરી છે. પોલીસે આતંકવાદીઓને જીવતા પકડવાના તમામ પ્રયત્નો કર્યા હતા. એટીએસના આઇજી એ જણાવ્યું કે, પહેલા કેમેરામાં જોતાં બે આતંકવાદીઓ ઘરમાં હોવાની શંકા હતી, પરંતુ ઘરમાં જઇને જોતાં માત્ર એક જ આતંકવાદી નજરે પડ્યો.
આ આતંકવાદીની ઓળખાણ સૈફુલ્લાહ તરીક થઇ છે, જે આઇએસઆઇએસ સાથે જોડાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, એટીએસના 20 કમાન્ડો સર્ચ ઓપરેશનમાં કાર્યરત હતા. ઠાર મરાયેલા આતંકવાદીઓનું કનેક્શન આઇએસઆઇએસના ખુરાસામ મૉડ્યૂલ સાથે હતું. મંગળવારે સવારે મધ્ય પ્રદેશમાં એક ટ્રેનમાં થયેલા વિસ્ફોટ બાદ થયેલી તપાસને આધારે યુપી એટીએસ દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અહીં વાંચો - ભોપાલ-ઉજ્જૈન પેસેન્જર ટ્રેનમાં વિસ્ફોટ, 9 ઘાયલ
1 આતંકવાદી, 11 કલાકનું એન્કાઉન્ટર
કમાન્ડો ઓપરેશન સાંજે 4 વાગે શરૂ થયું અને લગભગ 11 કલાક બાદ એક આતંકવાદી ઠાર મરાયો. કહેવાઇ રહ્યું છે કે, મધ્ય પ્રદેશ પોલીસના ઇનપુટ પર ઠાકુરગંજના આ સંદિગ્ધ આતંકીના ઠેકાણની ઘેરાબંધી કરવામાં આવી હતી. આતંકીએ આત્મસમર્પણ કરવાની ના પાડતાં એટીએસ દ્વારા તેના ઓરડામાં ટિયર ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા. સંદિગ્ધ આતંકવાદી બેભાન થઇ જાય અને તેને જીવતો પકડી શકાય એ માટે એટીએસ દ્વારા અંદર સ્મોક છોડવામાં આવ્યો. પરંતુ ત્યાર બાદ આતંકવાદીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. કમાન્ડો અને આતંકી વચ્ચેની અથડામણ દરમિયાન એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર હાઇએલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, સુરક્ષા વ્યવસ્થા કડક કરી તપાસ પણ શરૂ કરવામાં આવી હતી.