મારો જન્મદિવસ સાદગીથી ઉજવજો, સમાજ સેવાના કામ કરજો - માયાવતી
પોતાના જન્મદિવસ પર માયાવતીનો જનતાને સંદેશ, સામાજિક સેવાના કાર્યો કરો. માયાવતીએ સપા, ભાજપ અને કોંગ્રેસ પર વાણી પ્રહારો કર્યા.
ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બસપાની સુપ્રિમો માયાવતીએ આ વર્ષે પોતાનો જન્મદિવસ સાધારણ રીતે ઉજવવાનો નિર્ણય લીધો છે. આજે પત્રકાર પરિષદ દ્વારા તેમણે પોતાના પક્ષના કાર્યકર્તાઓને અપીાલ કરી છે કે, તેઓ માયાવતીનો જન્મદિવસ અત્યંત સાધારણ રીતે ઉજવે અને સામાજિક સેવાના કાર્યો કરે.
અખિલેશને મુખ્યમંત્રી બનાવતાં પહેલા જનતા વિચાર કરે
રવિવારની પત્રકાર પરિષદમાં માયાવતીએ 'મેરે સંઘર્ષમય જીવન ઔર બીએસપી મૂવમેન્ટ કા સફરનામા' નામની બ્લૂ બૂકની 12મી આવૃત્તિનું વિમોચન કર્યું હતું. સાથે જ તેમણે સપા પર સખત વાણી પ્રહારો કરતાં કહ્યું કે, 'અખિલેશના દુષિત ચહેરાને ફરીથી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે બેસાડતા પહેલાં જનતા વિચાર કરે.' ભાજપ પર નિશાન સાધતાં તેમણે કહ્યું કે, 'ભાજપે ચૂંટણી દરમિયાન કરેલા વાયદાઓમાંથી ચોથા ભાગના વાયદાઓ પણ પૂરા કર્યા નથી.'
ભાજપે લોકોને કાળા નાણાંને સફેદ કરવાની છૂટ આપી
'ભાજપ માત્ર હવા હવાઇ વાયદાઓ કરે છે, કાળું નાણું પાછું કાઢવા જેવા વાયદાઓ તો બાજુએ મુકાઇ ગયા છે. કાળું નાણું કાઢવાની વાત દુર, આ પક્ષે નોટબંધી દ્વારા કાળા નાણાંને સફેદ કરવાની લોકોને છૂટ આપી દીધી છે.' સાથે જ માયાવતીએ ભાજપના નેતાઓની સંપત્તિની જાણકારીની પણ માંગ કરી છે, તેમણે કહ્યું કે, 'ભાજપના નેતાઓની સંપત્તિ અંગે પણ લોકોએ જાણકારી માંગવી જોઇએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદાઓ પૂરા કરવામાં પૂર્ણ રીતે નિષ્ફળ રહ્યાં છે. સરકારે હિસાબ આપવો જોઇએ કે, અત્યાર સુધીમાં કેટલા ભ્રષ્ટ લોકો પકડાયા.'
કોંગ્રેસ માત્ર ખોટા પ્રલોભનો આપે છે
કોંગ્રેસ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, 'કોંગ્રેસ પાર્ટી હવે ઓક્સિજન પર ચાલી રહી છે. યુપીના લોકોને જાત-જાતની લાલચ આપી રહી છે. આઝાદી પછીના સમયથી કોંગ્રેસ પાર્ટી લોકોને માત્ર ખોટા પ્રલોભનો જ આપી રહી છે, યુપીમાં પણ કોંગ્રેસે 37 વર્ષ રાજ કર્યું, પરંતુ આજ સુધી આ રાજ્ય માટે એક પણ કામ નથી કર્યું. આથી જનતા પણ હવે આ પાર્ટીને ગંભીરતાથી નથી લેતી. કોંગ્રેસ સપા સાથે ગઠબંધન કરવા અંગે ચર્ચા કરી રહી છે, જેના પરથી એ વાત સાબિત થાય છે કે અખિલેશે ચૂંટણી પહેલાં જ પોતાની હાર સ્વીકારી લીધી છે.'