માયાવતી બોલ્યાંઃ વોટર નહીં, વોટર મશીને અપાવી ભાજપને જીત
યુપીની ચૂંટણીમાં હાર્યા બાદ માયાવતીએ કહ્યું, ઇવીએમ મશીનો સાથે ગડબડ કરવામાં આવી છે. તેમણે વિદેશી એક્સપર્ટ પાસે ઇવીએમ મશીનની તપાસ કરાવવાની માગણી કરી.
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માં ખરાબ રીતે હારેલા બસપા ના સુપ્રીમો માયાવતી એ ચૂંટણી પ્રક્રિયા પર જ સવાલો કર્યા છે. માયાવતીએ સ્પષ્ટ આરોપ લગાવ્યો છે કે, ઇવીએમ મશીન સાથે છેડખાની કરવામાં આવી છે, જેને કારણે ભાજપ ને સંપૂર્ણ બહુમત મળ્યો છે. તેમણે કહ્યું, ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડના પરિણામો પરથી સાફ છે કે આ મામલો કેટલો ગંભીર છે. આ અંગે હજુ પણ ચુપ રહેવું લોકતંત્ર માટે ઘાતક સાબિત થઇ શકે છે. હું ભાજપના ખુલ્લી ચેતવણી આપું છું, જો એ લોકો પ્રમાણિક હોય તો, ચૂંટણી પંચને પત્ર લખી, જૂની બેલેટ વ્યવસ્થા અનુસાર ચૂંટણી કરાવવાની માંગ કરે.
પીએમ અને શાહને પડકાર્યા
ભાજપ પર પ્રહારો કરતાં માયાવતીએ કહ્યું કે, આ લોકોએ લોકતંત્રની હત્યા કરી છે. હું વડાપ્રધાન અને અમિત શાહને ખુલ્લી ચેતવણી આપું છું, જો એ લોકો પ્રમાણિક હોય તો, ચૂંટણી પંચને પત્ર લખી, જૂની વ્યવસ્થા અનુસાર ચૂંટણી કરાવવાની માંગ કરે. જો તેઓ આમ ન કરે, તો એ પરથી સ્પષ્ટ થાય છે કે તેમણે ગોટાળો કર્યો છે.
વિપક્ષે એકસાથે થવું જોઇએ
ચૂંટણીમાં ગોટાળાની વાત કરતાં માયાવતીએ કહ્યું કે, આ મામલે બસપા જ નહીં, સમગ્ર વિપક્ષ એકસાથે થશે, નહીં તો લોકતંત્ર ખતમ થઇ જશે અને વિરોધી પાર્ટીઓનો ચૂંટણી લડવાનો કોઇ અર્થ નહીં રહે. યુપીમાં મોટાભાગના લોકોનો ઇવીએમ મશીન પરથી વિશ્વાસ ઉઠી ગયો છે. અમારી પાર્ટીના લોકો સવાલ કરી રહ્યાં છે કે અમે બસપાને મત આપ્યો હતો, ભાજપને નહીં. તો અમારા મત ક્યાં જતા રહ્યાં? બિન ભાજપ વોટ ભાજપને કઇ રીતે જતા રહ્યાં? તેઓ પંજાબમાં આવું ન કરી શક્યાં, કારણ કે ત્યાં પકડાઇ જવાની સંભાવના હતી. ગોવા અને મણિપુર નાના પ્રદેશ હોવાથી ત્યાં ગોટાળો કરવાનું ભાજપે ટાળ્યું. યુપી સૌથી મોટો પ્રદેશ છે, આથી તેમણે યુપી પર નિશાન સાધ્યું.
મુસ્લિમોના મત ભાજપને કઇ રીતે મળ્યાં?
માયાવતીએ કહ્યું કે, ચૂંટણી પરિણામો અત્યંત ચોંકાવનારા છે, આ કોઇના માનવામાં આવે એમ નથી. સ્પષ્ટ છે કે વોટિંગ મશીને ભાજપ સિવાય અન્ય પાર્ટીના ઉમેદવારોના મત લીધા જ નથી કે પછી અન્ય પક્ષોના મત પણ બાજપના ખાતામાં જતા રહ્યાં છે. તેમણે આગળ કહ્યું કે, પાર્ટી દ્વારા પ્રાપ્ત રિપોર્ટ અનુસાર મુસ્લિમ બહુમત વિસ્તારવાળા મત પણ ભાજપને મળ્યાં છે, એના પરથી જ સ્પષ્ટ થાય છે કે વોટિંગ મશીન સાથે છેડખાની કરવામાં આવી છે. યુપીમાં 18-20 ટકા મુસલમાન છે, ભાજપે એક પણ મુસલમાનને ચૂંટણીની ટિકિટ નહોતી આપી, તેમ છતાં મુસ્લિમ બહુમત વિસ્તારના મત ભાજપને કઇ રીતે મળ્યાં? આ વાત તો દુનિયામાં કોઇ નહીં સ્વીકારે.
ચૂંટણી પરિણામો પર રોક લગાવવામાં આવે
વર્ષ 2014ના ચૂંટણી પરિણામો પર સવાલ કરતાં માયાવતીએ કહ્યું કે, વર્ષ 2014ના લોકસભા ચૂંટણી પરિણામોમાં પણ આ જ પ્રકારની શંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી, એ સિવાય ભાજપના પક્ષમાં પરિણામ આવે એ અશક્ય હતું. વોટિંગ મશીનમાં કોઇ પણ બટન દબાવો, મત ભાજપને જ મળતો, ચૂંટણી પંચ સમક્ષ આ મુદ્દો વારંવાર ઊંચકાવમાં આવ્યો છે. માયાવતીએ કહ્યું કે, 6 માર્ચ, 2017ના છેલ્લા તબક્કાના એક દિવસ પહેલાં મારી પ્રેસ કોન્ફરન્સમાં આ જ પ્રકારનો સવાલ મારી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે મે એ સવાલ પર ધ્યાન નહોતું આપ્યું, પરંતુ આજે મને લાગે છે કે, એ પત્રકાર સાચું બોલતો હતો અને આજે એ વ્યક્તિ અહીં દેખાતો નથી.
અહીં વાંચો