ભાવુક થયા શશિકલા, કહ્યું, અમ્માનો સાથ નહીં છોડી શકું
રવિવારની સાંજે ધારાસભ્યો સાથે શશિકલાની વાતચીત થઇ. આ મીટિંગ દરમિયાન સખત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ જ રીતની મીટિંગ શનિવારે પણ થઇ હતી.
તમિલનાડુ માં પોતાની સરકાર બનાવવાની હોડમાં લાગેલા શશિકલા અને પન્નીરસેલ્વમ વચ્ચેનો વિવાદ વકરતો જાય છે. આ બંન્ને દળો પોતાનો પક્ષ મજબૂત કરવા માટે બનતા તમામ પ્રયત્નો કરી રહ્યાં છે. આ માટે રવિવારે સાંજે શશિકલા કેટલાક ધારાસભ્યોને મળવા માટે કુવાથુરના ગોલ્ડન બે રિસોર્ટમાં પહોંચ્યા હતા. આ મીટિંગ દરમિયાન કડક પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, શનિવારે પણ આ જ પ્રકારની મીટિંગનું આયોજન થયું હતું.
'કોઇને અહીં જબરજસ્તી રાખવામાં નથી આવ્યા'
ધારાસભ્યોને સંબોધિત કરતી વેળાએ શશિકલા ભાવુક થઇ ગયા હતા. ધારાસભ્યો સાથે મીટિંગ કર્યા બાદ તેમણે પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, સાચી વાત તમારી સામે આવશે. કોઇને અહીં જબરજસ્તી રાખવામાં નથી આવ્યા. અમે અહીં પરિવારની માફક રહીએ છીએ. પાર્ટીના જે અન્ય કાર્યકર્તાઓ અને તાકાતો અમારો વિરોધ કરી રહી છે, તેઓ સફળ નહીં થાય. આપણે સાથે ઊભા રહેવાનું છે અને આ નકામા પ્રયત્નોનો સામનો કરવાનો છે.
અહીં વાંચો - કોણ છે શશિકલા નટરાજન? જેને મળી છે જયલલિતાની ગાદી
'પન્નીરસેલ્વમને ભુલાવી દેવામાં આવ્યા છે'
ઓ. પન્નીરસેલ્વમ પર પ્રહારો કરતાં તેમણે કહ્યું કે, આ નામના વ્યક્તિને ભુલાવી દેવામાં આવ્યા છે. પાર્ટી અને સરકારને કોઇ અડી શકે એમ નથી. સરકાર બનાવ્યા બાદ અમે અમ્માના સ્મારક પર ફોટો પડાવીશું અને આખી દુનિયાને બતાવીશું. આ અમારો સંકલ્પ છે. જો તમે લોકો સાથે રહેશો તો બધું જ મળી જશે. પાર્ટીના મહાસચિવનું પદ સંભાળ્યા બાદ હું અમ્મા ની સમાધિ પર ગઇ ત્યારે મને લાગ્યું જાણે કોઇ શક્તિ મને આકર્ષિત કરી રહી હોય. ત્યારે જ મે સંકલ્પ કર્યો કે હું છેલ્લા શ્વાસ સુધી પાર્ટીની રક્ષા કરીશ.
અહીં વાંચો - પન્નીસેલ્વમનો બળવો, તમિલનાડુમાં હાઇ-વોલ્ટેજ રાજકારણીય નાટક શરૂ
આવકથી વધુ સંપત્તિનો કેસ
જ્યારે શશિકલાને જયલલિતાના નામ પર ચાલી રહેલા આવકથી વધુ સંપત્તિના કેસ અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, એનો સમય આવવા દો, એ જોઇ લેવાશે. તમે માત્ર રાહ જુઓ અને અમારું આગળનું પગલું જુઓ. તેમણે આગળ કહ્યું કે, પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ અત્યારે અમારો વિરોધ કરી રહ્યાં છે, પરંતુ તેઓ પોતાના ઇરાદામાં સફળ નહીં થાય, હું એવું થવા નહીં દઉં.
શશિકલા કરશે ભૂખ હડતાલ?
શશિકલાને પૂછવામાં આવ્યું કે, જો તેમને સરકાર બનાવવા માટે આમંત્રિત કરવામાં નહીં આવે તો શું તેઓ એ નિર્ણયનો વિરોધ કરશે. આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હાલ એની પર કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિરોધી પક્ષ અફવા ફેલાવી રહ્યું છે કે અમે પાર્ટીના ધારાસભ્યોને બંધક બનાવીને રાખ્યા છે. ઉલ્લેખનીય છે કે, શશિકલાના દળનો આરોપ છે કે ગવર્નર શશિકલાને સરકાર બનાવવા આમંત્રિત કરવામાં ખૂબ વાર કરી રહ્યાં છે અને શશિકલાએ ગવર્નરને ધમકી આપી છે કે, જો તેઓ નિર્ણય લેવામાં આમ જ વાર કરતા રહેશે તો શશિકલા ભૂખ હડતાલ કરશે.