નરેન્દ્ર મોદી કરાવશે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે વચ્ચે સમાધાન
મુંબઇ, 3 ઓગસ્ટ : ભાજપની ચૂંટણીપ્રચાર સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચાર સંકલનની સાથે એનડીએને પણ મજબૂત બનાવવા માટે પ્રયત્નો શરૂ કર્યા છે. આ માટે તેમણે મહારાષ્ટ્ર ભાજપ એકમને એક ગુપ્ત એજન્ડા પર કામ સોંપ્યું છે. મોદી નથી ઇચ્છતા કે આ દિશામાં કોઇ નક્કર પરિણામ આવે તે પહેલાં રહસ્ય ખુલ્લું થઇ જાય.
આ ગુપ્ત કાર્ય અંગે સૂત્રોનું કહેવું છે કે મોદીનો ગુપ્ત એજન્ડા ઠાકરે પરિવારના પિતરાઇ ભાઇઓને કોંગ્રેસ વિરોધી મોરચામાં એકજૂથ કરવાનો છે. ઠાકરે બંધુ લાંબા સમયથી એકબીજા સામે બાંયો ચડાવે છે. ભાજપને જયારથી ભાન થયું કે રાજ ઠાકરેની નવનિર્માણ સેના મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના જોડાણને નુકસાન કરીને કોંગ્રેસ વિરોધી મતમાં ભાગ પડાવે છે. ત્યારથી પક્ષ વિચારી રહ્યો છે કે રાજ ઠાકરેને કેવી રીતે મનાવવા જેથી તેઓ સંગઠન સાથે કોઇ જોડાણ કરવા તૈયાર થાય.
નરેન્દ્ર મોદીએ ચૂંટણીપ્રચારની ધુરા સંભાળ્યા બાદ રાજ ઠાકરેને નિકટ લાવવાના પ્રયાસો તેજ બનાવ્યા છે. આ માટે મોદીએ તેમના મહારાષ્ટ્ર એકમના વડાને કામ સોંપ્યું છે. ભાજપના રાજય એકમના વડા દેવેન્દ્ર ફડનવીસે છેલ્લા બે મહિનામાં રાજ ઠાકરે સાથે ઓછામાં ઓછી ત્રણ બેઠક કરી છે અને રાજ તેમની સાથે જોડાય તો ભાજપ શિવસેના યુતિ તેમના માટે શું કરી શકે તે અંગે ચર્ચા કરી છે.
ફડનવીસે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે પણ ઘણા પ્રસંગોએ ચર્ચા કરી છે અને તેમને કથિત ‘મહાજોડાણ' માટે તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં ભાજપના વિપક્ષના નેતા એકનાથ ખડસેએ અગાઉ જણાવ્યું હતું કે વર્ષ 2009ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના અંદાજ મુજબ મનસેએ કોંગ્રેસ વિરોધી મતમાં ભાગ પડાવતા સમગ્ર રાજયમાં ઓછામાં ઓછી 41 બેઠકો ગુમાવી હતી.
આ 41 બેઠકમાંથી ભાજપ અને શિવસેના જોડાણને ઓછામાં ઓછી 35થી 38 બેઠકો મળી શકી હોત તો આ યુતિ મહારાષ્ટ્રમાં સરકાર બનાવી શકી હોત. આ કારણે હવે ભાજપ અત્યારથી જ લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ઠાકરેબંધુઓને નજીક લાવવાના પ્રયાસો કરી રહી છે. આ પ્રયાસો અંગે ભાજપના સાંસદ અને પક્ષ પ્રવકતા પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે 'મહારાષ્ટ્રમાં મહાસંગઠન રચવા અંગે અમને પક્ષના નેતૃત્વ તરફથી સૂચન મળી છે કે કોઇ ઠોસ પરિણામ ન આવે ત્યાં સુધી મીડિયા સાથે ચર્ચા કરવી નહીં.'
ભાજપના એક વરિષ્ઠ ધારાસભ્યએ જણાવ્યું હતું કે 2009ની વિધાનસભા ચૂંટણીમાં મનસેને કારણે એકલા વિદર્ભમાં અમે 12 બેઠકો અને સમગ્ર રાજયમાં 50 બેઠકો ગુમાવી હતી. આથી જો મનસે સાથે બેઠકોની વહેંચણી અંગે કોઇ વ્યવસ્થા ગોઠવાય તો રાજયમાં કોંગ્રેસ એનસીપીને સરળતાથી હરાવી શકાય એમ છે. મુંબઇની છેલ્લી બે મુલાકાતમાં મોદીએ પક્ષના રાજય એકમ સાથે બેઠકો યોજી હતી અને મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચારના વ્યૂહની ખામીઓ વિશે ચર્ચા કરી હતી. મોદીએ ઠાકરેબંધુઓને એક સંગઠન હેઠળ લાવવા પર ભાર મૂકયો હતો.