Delhi Exclusive : મોદી ‘માથે’, હવે બેદી ‘હૈયે’ વસાવવાની કસોટી!
નવી દિલ્હી, 17 જાન્યુઆરી : દિલ્હી વિધાનસભાની બહુપ્રતીક્ષિત ચૂંટણીઓ જાહેર થઈ ગઈ અને ચૂંટણીઓ જાહેર થતા જ રાજ્યમાં મોટાપાયે રાજકીય ઉથલ-પાથલ પણ શરૂ થઈ ગઈ. આ સમગ્ર ઉથલ-પાથલ વચ્ચે દિલ્હીના મતદારો સામે ફરી એક વાર આકરી કસોટી આવીને ઊભી છે, તો ચૂંટણી મેદાને ઉતરેલા રાજકીય પક્ષોએ પણ મોટી અગ્નિ પરીક્ષામાંથી પસાર થવાનો વારો આવ્યો છે.
દિલ્હી વિધાનસભાની છેલ્લી ચૂંટણી ડિસેમ્બર-2013માં યોજાઈ હતી અને તે ચૂંટણીમાં સત્તાપક્ષ કોંગ્રેસને સત્તામાંથી ઉખાડી ફેંકી તથા મુખ્ય વિરોધ પક્ષ ભારતીય જનતા પક્ષ એટલે કે ભાજપને પણ સત્તામાં આવતા રોકી નવોદિત આમ આદમી પાર્ટી (આપ) બીજા સ્થાને રહી હતી. આમ કોઈ પણ પક્ષને બહુમતી નહોતી મળી. 70 સભ્યોની વિધાનસભામાં ભાજપને સૌથી વધુ 32 બેઠકો મળી હતી, તો આપને 28 અને કોંગ્રેસને 8 ઉપરાંત અન્યોને 2 બેઠકો જ મળી હતી. જોકે બહુમતી માટે જરૂરી 36 બેઠકોનો આંકડો કોઈને નહોતો હાસલ થયો અને આમ હવે દિલ્હી મધ્યાસત્ર ચૂંટણી 2015માંથી પસાર થવા તૈયાર છે.
ચૂંટણી પંચે તાજેતરમાં જ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015 માટેની તારીખ 7મી ફેબ્રુઆરી જાહેર કરી અને આ સાથે જ રાજ્યમાં રાજકીય ચહલ-પહલ વધી ગઈ. 2013માં દિલ્હીમાં 49 દિવસની સરકાર ચલાવ્યા બાદ આપના અરવિંદ કેજરીવાલ નરેન્દ્ર મોદી સામે પડવા દિલ્હીથી વાયા વારાણસી થઈ આખો દેશ લેવા ગયાં અને દિલ્હીમાં તેમની છબી ખરડાતી ગઈ.
ચાલો સ્લાઇડર વડે જાણીએ કે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013 અને 2015માં શું-શું બદલાઈ ગયું છે?
બદલાયા રાજકીય સમીકરણો
આજે જ્યારે દિલ્હી ફરીથી ચૂંટણી સંગ્રામમાં ઉતરી છે, ત્યારે રાજકીય સમીકરણો તદ્દન બદલાઈ ચુક્યા છે. 2013માં સત્તાપક્ષ કોંગ્રેસ અને મુખ્યમંત્રી શીલા દીક્ષિત નિશાના પર હતાં અને તેમને પડકાર ફેંકવામાં ભાજપ અને આપ વચ્ચે મુકાબલો હતો, જ્યારે આજે તે જ દિલ્હીના ચૂંટણી મેદાનમાંથી શીલા દીક્ષિત ગાયબ છે, તો 49 દિવસ સરકાર ચલાવી ચુકેલા અરવિંદ કેજરીવાલ ફરીથી પોતાની ઈમેજ બનાવવામાં પડ્યાં છે, જ્યારે ભાજપ સૌથી વધુ જોશમાં છે.
લોકસભા ચૂંટણી 2014 બની સીમાચિહ્ન
દિલ્હી વિધાનસભા ચૂંટણી 2013 અને 2015 વચ્ચે લોકસભા ચૂંટણી 2014 સીમાચિહ્ન રૂપ બની રહી છે. કેજરીવાલે મોટી ચાલ ચાલી હતી અને તેઓ દિલ્હી રાજ્યનો તખ્ત છોડી ભારતના પાટનગર દિલ્હીનો તખ્તની લાલચમાં નિકળી પડ્યા હતાં. દિલ્હીમાં શીલા દીક્ષિતને સીધી અને આડકતરી બંને પ્રકારની લડાઈમાં માત આપી કેજરીવાલે લોકસભા ચૂંટણી 2014માં ઝંપલાવ્યુ હતું અને તે પણ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી સામે. આ ચૂંટણીમાં કેજરીવાલની ભૂંડી હાર થઈ અને તેમના પક્ષનો ગૃહ રાજ્ય દિલ્હીમાં પણ ખાત્મો બોલાઈ ગયો.
લૌટ કે બુદ્ધૂ ઘર કો આયે
દેશમાં મોદીને પરાસ્ત કરવામાં કે તેમની લહેર રોકવામાં પછડાટ ખાધા બાદ અરવિંદ કેજરીવાલ લૌટ કે બુદ્ધૂ ઘર કો આયે કહેવતની જેમ પોતાના હોમ ગ્રાઉંડ દિલ્હી પરત ફર્યાં અને તેમણે દિલ્હીની પ્રજામાં ફરીથી આમ આદમી પાર્ટીની જ્યોતિ જલાવવાના પ્રયત્નો શરૂ કરી દીધાં. જોકે દિલ્હીની પ્રજા પણ સમજૂ છે અને પ્રજાએ લોકસભા ચૂંટણી 2014માં આમ આદમી પાર્ટીને જોરદાર હાર આપીને આ વાત કેજરીવાલને સમજાવી દીધી હતી. એટલે જ કેજરીવાલ માટે દિલ્હી વિધાનસભા ચૂંટણી 2015ના ચઢાણ કપરાં બન્યાં છે.
ભાજપ પુરજોશમાં
2013-2015 વચ્ચે એક મોટો તફાવત એ ઊભો થયો કે દિલ્હીની રાજકીય તસવીર સમ્પૂર્ણપણે બદલાઈ ગઈ. અરવિંદ કેજરીવાલ અને તેમના પક્ષના ઝગડાઓ તથા આંતરવિગ્રહો સતત જાહેર થતા રહ્યાં અને બીજી બાજુ 2014ની લોકસભા ચૂંટણીમાં દિલ્હીની પ્રજાએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો. એટલુ જ નહીં, કેન્દ્રમાં ભાજપની સરકાર બની અને જે મોદીને રોકવાનો પ્રયત્ન કરવાનો દમ ભરતા હતા કેજરીવાલ, તે જ મોદી તેમની છાતીએ (દિલ્હી ખાતે) આવીને બેસી ગયાં. કેન્દ્રમાં ભાજપની સરકાર અને નરેન્દ્ર મોદી દિલ્હીમાં સ્થાયી થતાની સાથે જ ભાજપનો ઉત્સાહ અને જોશ બમણી ગતિએ વધ્યો.
માથે મોદી
દિલ્હીની પ્રજાએ વિધાનસભા ચૂંટણી 2013માં ભાજપને બહુમતીથી જે 4 બેઠકો પાછળ રાખ્યો હતો, તે જ પ્રજાએ લોકસભા ચૂંટણી 2014માં ભાજપને દિલ્હીની સાતે સાત બેઠકો અપાવી અને નરેન્દ્ર મોદીને પોતાના માથે બેસાડી દીધાં. દિલ્હીમાં ભાજપની જીત કરતા મોટી વાત કેજરીવાલના પક્ષની હાર હતી. ભાજપના વિજયનો સીધો શ્રેય નરેન્દ્ર મોદીને આપવામાં આવ્યો. દેશમાં ભાજપને પૂર્ણ બહુમતી મળી અને નરેન્દ્ર મોદીની દિલ્હીમાં એન્ટ્રી થઈ ગઈ, તો દિલ્હીએ પણ 7 બેઠકો સાથે મોદીને માથે બેસાડ્યાં.
હવે હૈયે બેદીની કસોટી
નરેન્દ્ર મોદી તો દિલ્હીના માથે બેસવાની કસોટીમાંથી પસાર થઈ ગયાં, પરંતુ હવે ભાજપ સામે દિલ્હીના હૈયે બેદીને વસાવવાનો પડકાર છે. દેશના પ્રથમ મહિલા આઈપીએસ ઑફિસર તરીકે જાણીતા કિરણ બેદી ભાજપમાં જોડાઈ ગયાં છે અને સૂત્રોની માનીએ, તો ભાજપને જો દિલ્હીમાં બહુમતી મળે, તો કિરણ બેદી જ મુખ્યમંત્રી બનશે. દિલ્હીમાં ભાજપ અને નરેન્દ્ર મોદી જ નહીં, પણ કિરણ બેદી સામે પણ મોટો પડકાર દિલ્હીની પ્રજાના હૈયે વસવાનો છે. કેન્દ્રમાં તો મોદી આવી આકરી કસોટી પાર કરી ગયાં, પરંતુ હવે દિલ્હીના હૈયે બેદીને વસાવવાનો આ પડકાર ભાજપ સામે છે, તો બીજી બાજુ કેજરીવાલ સામે પણ સૌથી મોટો પડકાર દિલ્હીના હૈયે ફરીથી સ્થાન પામવાનો છે.