મોદી હેલીકોપ્ટર કેસ: ચૂંટણી પંચે આપ્યા તપાસના આદેશ
નવી દિલ્હી, 2 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના હેલીકોપ્ટરને રેલી દરમિયાન 2 સ્થળો પર રોકવાના મામલામાં ચૂંટણી પંચે તપાસના આદેશ આપ્યા છે. અત્રે નોંધનીય છે કે મંગળવારે જ્યારે નરેન્દ્ર મોદી મધ્યપ્રદેશ ચૂંટણી પ્રચાર અર્થે જઇ રહ્યા હતા તો તેમને કલાકો સુધી રોકવામાં આવ્યા હતા અને અને તેમના હેલીકોપ્ટરને ઉડવાની પરવાનગી અપાઇ ન્હોતી.
ચૂંટણી પંચે આ મામલે તપાસ બાદ યોગ્ય કાર્યવાહી હાથ ધરવાનો વિશ્વાસ આપ્યો છે. સાથે સાથે સંબંધિત આધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે ભવિષ્યમાં આ પ્રકારની કોઇ સમસ્યા આવી જોઇએ નહીં.
અત્રે નોંધનીય છે કે મંગળવારે મધ્ય પ્રદેશના રેવા ખાતે તેઓ સભામાં ઉપસ્થિત જનમેદનીને સંબોધિત કરી હતી. જ્યાં તેમણે કહ્યું કે મારા હેલિકોપ્ટરને ડીલે કરીને મારા કાર્યક્રમોમાં રોડા નાખવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. મોદીનું હેલિકોપ્ટર ઉડે કે ના ઉડે, તમે સત્તા પરથી ઉડી જવાના છો.
મોદીએ કહ્યું કે, આજે દિલ્હીમાં મારા હેલિકોપ્ટરને એટીસી દ્વારા બે વાર રોકવામાં આવ્યું. જેના કારણે હું 3-3 કલાક મોડો પડી રહ્યો છું. મે દિલ્હી એરપોર્ટ પર એક કલાક રાહ જોઇ અને બરેલી એરપોર્ટ પર પણ મે એક કલાક રાહ જોઇ છે. મારા કાર્યક્રમોમાં રોડા નાખવાનું ષડયંત્ર રચાઇ રહ્યું છે. હું ચૂંટણી પંચને આગ્રહ કરું કે તેઓ તપાસ કરે કે શા માટે મારા કાર્યક્રમોમાં મોડું થાય તેવું કરવામાં આવી રહ્યું છે. કોણ મારા હેલિકોપ્ટર્સને કલાકો સુધી ડીલે કરી રહ્યાં છે. જે લોકો આ કરી રહ્યાં છે તે સાંભળી લે કે મોદીનું હેલિકોપ્ટર ઉડે કે ના ઉડે, તમે સત્તા પરથી ઉડી જવાના છો.