એકથી વધુ સિલિન્ડર પહેલી જુનથી રદ કરાશે
ઈન્ડિયન ઓઈલ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ તરફથી ગ્રાહકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ પાસે અક જ નામ અને સરનામા પર એક કરતા વધુ એલપીજી કનેક્શન હોય તો આગામી 15 દિવસમાં જરૂરી ફોર્મ ભરીને જમા કરાવી દેવામાં આવે. ગ્રાહકોએ આ ફોર્મની સાથે તેમના ઘરના સરનામાંનો પુરાવો અને એક તેમનું ઓળખ પત્રક જમા કરાવવાનું રહેશે. આ ઉપરાંત ગ્રાહકોને એમ પણ અરજી કરવામાં આવી છે કે તેઓ તરત જ એકથી વધુ ગેસ સિલિન્ડર ગેસ એજન્સીને સોંપી દે.
એકથી વધુ સિલિન્ડર સમયસર ઓઈલ કંપનીઓને પરત કરવામાં નહીં આવે તો 1 જૂન 2013 પછી કોઈ પણ સબસિડી કે સબસિડી વગરના ગેસ સિલિન્ડર ગ્રાહકોને આપવામાં આવશે નહીં. દેશમાં એકથી વધુ ગેસ સિલિન્ડર ધરાવતા લોકોની યાદી તૈયાર કરી દેવામાં આવી છે. ત્રણેય ઓઈલ કંપનીઓ પાસે આ પ્રમાણેનું લિસ્ટ તૈયાર છે. સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે સમગ્ર દેશમાં સરેરાશ 2.5 કરોડ કનેક્શન એક જ નામ અને સરનામાં પર આવેલા છે, તેમાંથી અત્યાર સુધીમાં માત્ર 63 લાખ કનેક્શન બ્લોકકરી દેવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા એકથી વધુ ગેસ સિલિન્ડર ધરાવતા ગ્રાહકોને 31 ડિસેમ્બર 2012 સુધીમાં કનેક્શન બ્લોક કરવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ ઘણા રાજ્યોમાં ચૂંટણી ચાલતી હોવાથી આ વિશે હજુ સુધી કોઈ કડક પગલા લેવામાં આવ્યા ન હતા અને આ મુદતમાં વધારો કરવામાં આવતો હતો.