અમદાવાદ, 16 મે : લોકસભા ચૂંટણી 2014નું આખુ ચક્ર આજે પૂર્ણ થઈ ગયું છે. આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો પક્ષગત રીતે ભારતીય જનતા પક્ષ અને કોંગ્રેસ વચ્ચે હતો, તો વ્યક્તિગત રીતે નરેન્દ્ર મોદી તથા રાહુલ ગાંધી વચ્ચે હતો. ચૂંટણી પરિણામો આજે જાહેર થઈ ગયાં છે અને ફેંસલો પણ થઈ ગયો છે.
દેશની પ્રજાએ બે માસ કરતા વધુ લાંબી ચાલેલી ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મતદાન દ્વારા પોતાનો ફેસલો સંભળાવી દીધો છે કે જે વ્યક્તિગત લડાઈની બાબતમાં નરેન્દ્ર મોદીના પક્ષમાં ગયો છે. આ ચૂંટણીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો કારમો પરાજય થયો છે. રાહુલ ગાંધી ભલે કોંગ્રેસ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર નહોતા કરાયાં, પરંતુ જો કોંગ્રેસનો વિજય થાત, તો તેઓ જ વડાપ્રધાન બનવાના હતાં. બીજી બાજુ નરેન્દ્ર મોદી જાહેર કરાયેલા વડાપ્રધાન પદના ઉમેદવાર હતાં.
આમ લોકસભા ચૂંટણી 2014માં દેખીતી રીતે વ્યક્તિગત મુકાબલો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે જ હતો, પરંતુ પડદાની પાછળ બે શક્તિઓ વચ્ચે પણ મુકાબલો ચાલી રહ્યો હતો. આ હતી માતૃશક્તિઓ અને આ માતૃશક્તિઓ વચ્ચે થયેલ અપ્રત્યક્ષ મુકાબલા હતો. એક બાજુ પુત્ર માટે સંઘર્ષ હતો, તો બીજી તરફ પુત્ર માટે આશીર્વાદ હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ આ બે માતૃશક્તિઓના મુકાબલાની વિગતો :
મોદી વર્સિસ રાહુલ
લોકસભા ચૂંટણી 2014માં પ્રત્યક્ષ રીતે મુકાબલો નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે હતો. જ્યારે પણ દેશમાં નેતૃત્વની પસંદગીની બાબત આવતી, ત્યારે લોકો સમક્ષ આ બે જ વિકલ્પો મુખ્યત્વે મૂકવામાં આવતાં અને આ મુકાબલામાં નરેન્દ્ર મોદી બાજી મારી ગયા છે. નરેન્દ્ર મોદીએ ભાજપને સ્પષ્ટ બહુમતી અપાવી દીધી છે, જ્યારે રાહુલ ગાંધીનો કારમો પરાજય થયો છે.
મા વર્સિસ મા
લોકસભા ચૂંટણી 2014માં પ્રત્યક્ષ મુકાબલો ભલે મોદી વર્સિસ રાહુલ હતો, પરંતુ પડદા પાછળ અપ્રત્યક્ષ મુકાબલો પણ હતો અને આ મુકાબલો હતો બે માતાઓનો. એક બાજુ નરેન્દ્ર મોદીના માતા હીરાબા હતાં, તો બીજી બાજુ રાહુલ ગાંધીના માતા સોનિયા ગાંધી હતાં.
સોનિયાનો સંઘર્ષ
માતૃશક્તિઓના મુકાબલામાં રાહુલ ગાંધીને માતાનો ભરપૂર સાથ-સહકાર મળ્યો. સોનિયા ગાંધીએ રાહુલને માત્ર કોંગ્રેસ ઉપાધ્યક્ષ જ નહીં બનાવ્યા, બલ્કે ચૂંટણીમાં વિજય મળ્યા બાદ વડાપ્રધાન પદ પણ તેમને જ અપાવવાના હતાં. રાહુલના નેતૃત્વને કસોટીએ પાર પાડવા માટે સોનિયાએ ચૂંટણીમાં સખત સંઘર્ષ કર્યો. સોનિયાએ કોંગ્રેસને જિતાડવા માટે અનેક સભાઓ કરી, કારણ કે તેઓ સક્રિય રાજકારણમાં પણ છે. સોનિયાના આ સંઘર્ષ પાછળ રાહુલને વડાપ્રધાન પદ સુધી પહોંચાડવાનો જ ઉદ્દેશ હતો.
હીરાના આશીર્વાદ
બીજી બાજુ નરેન્દ્ર મોદીના માતા હીરાબા હતાં કે જેઓ ચૂંટણીના મેદાનમાં નહોતાં. હીરાબા પડદા પાછળ હતાં, પરંતુ નરેન્દ્ર મોદી સાથે તેમના આશીર્વાદ સતત રહેતા આવ્યા છે. મોદી જ્યારે ગુજરાતમાં ત્રીજી વાર વિધાનસભા ચૂંટણી જીત્યાં, ત્યારે પણ હીરાબાએ આશીર્વાદ આપ્યા હતાં કે મોદી દેશના વડાપ્રધાન બને અને ભાજપે જ્યારે મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કર્યાં, ત્યારે પણ મોદીને હીરાબાએ આશીર્વાદ આપ્યા હતાં.
ચમક્યો હીર, ફીકો રહ્યો સિક્કો
લોકસભા ચૂંટણી 2014માં આમ બે માતૃશક્તિઓના મુકાબલામાં હીરાનો હીર ચમકી ગયો, જ્યારે સોનાનો સિક્કો ખોટો નિકળ્યો. હીરાનો હીર એટલે હીરાબાના પુત્ર નરેન્દ્ર મોદી કામયાબ રહ્યાં. મોદીને માતાના આશીર્વાદ ફળ્યાં. બીજી બાજુ સોનાનો સિક્કો એટલે કે સોનિયા ગાંધીના પુત્ર રાહુલ ગાંધી નિષ્ફળ રહ્યાં. રાહુલ માટે માતાએ કરેલો સંઘર્ષ એળે ગયો.